મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક ભોજશાળા સંકુલ અંગે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ પોતાનો મહત્વપૂર્ણ અહેવાલ ઇન્દોર હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. વૈજ્ઞાનિક તપાસ, ખોદકામ અને શિલ્પોના વિશ્લેષણના આધારે એએસઆઈ એ તારણ કાઢ્યું છે કે કમલ મૌલા મસ્જિદનું નિર્માણ પ્રાચીન મંદિરના ભાગોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હાલનું માળખું ઉતાવળે બનાવવામાં આવ્યું હતું, જે મંદિર તોડીને તે જ સામગ્રીના ઉપયોગથી બાંધવામાં આવ્યું હોવાનો સંકેત આપે છે.
98 દિવસ સુધી ચાલેલા આ સર્વે દરમિયાન ટીમને કુલ 94 શિલ્પો અને તેના અવશેષો મળી આવ્યા હતા. જેમાં ગણેશ, બ્રહ્મા, નરસિંહ અને ભૈરવ જેવા હિન્દુ દેવી-દેવતાઓની કોતરણીવાળી મૂર્તિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિંહ, હાથી, ઘોડો અને હંસ જેવા પ્રાણીઓના શિલ્પો તેમજ સ્તંભો અને બારીઓ પર પરંપરાગત હિન્દુ સ્થાપત્ય શૈલીના ‘કીર્તિમુખ’ જોવા મળ્યા છે. 2000 પાનાના આ વિગતવાર અહેવાલમાં સંકેત આપવામાં આવ્યો છે કે આ સ્થાન મૂળભૂત રીતે મા સરસ્વતીને સમર્પિત એક વિશાળ મંદિર હોઈ શકે છે.આ અહેવાલ સામે આવ્યા બાદ હિન્દુ પક્ષના અરજીકર્તાઓએ તેને આવકાર્યો હતો. હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસના ઉપાધ્યક્ષ આશિષ ગોયલે જણાવ્યું હતું કે, આ સર્વે સાબિત કરે છે કે સમગ્ર માળખું પરમાર વંશના રાજા ભોજ અને તેમના પૂર્વજો દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે આશરે 950 થી 1000 વર્ષ જૂનું છે.
સોમવારે આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ વિજય કુમાર શુક્લા અને જસ્ટિસ આલોક અવસ્થીની બેંચે આદેશ આપ્યો હતો કે, રિપોર્ટની નકલ તમામ પક્ષોને પૂરી પાડવામાં આવે. અદાલતે તમામ પક્ષકારોને આ અહેવાલ પર વાંધા, સૂચનો અને ભલામણો રજૂ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 16 માર્ચના રોજ નિર્ધારિત કરવામાં આવી છે, જે ભોજશાળાના ભાવિ ધાર્મિક સ્વરૂપને નક્કી કરવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.





