કેન્દ્ર સરકારે ટ્રાન્સજેન્ડર્સ, સમલૈંગિક પુરુષો અને મહિલા સેક્સ વર્કર્સને સંભવિત રક્તદાતાઓની
યાદીમાંથી બહાર રાખવાના પોતાના નિર્ણયનો સુપ્રીમ કોર્ટમાં મજબૂત બચાવ કર્યો છે. સરકારે સ્પષ્ટતા
કરી છે કે, આ કોઈ ભેદભાવ નથી, પરંતુ જાહેર સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર વિષય છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ સમક્ષ એડિશનલ સોલિસિટર જનરલ
ઐશ્વર્યા ભાટીએ સરકારનો પક્ષ રાખ્યો હતો. સરકારની તરફથી દલીલો રજુ કરી હતી. સ્વાસ્થ્ય
મંત્રાલયના ડેટા મુજબ, સામાન્ય વસ્તીની સરખામણીએ આ વિશિષ્ટ જૂથોમાં HIV, હેપેટાઇટિસ-B અને
હેપેટાઇટિસ-Cનું જોખમ 6 થી 13 ગણું વધુ જોવા મળ્યું છે.રાષ્ટ્રીય રક્ત નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને
‘સૌથી સુરક્ષિત’ બ્લડ પૂરો પાડવાનો છે. ઉચ્ચ જોખમ ધરાવતા જૂથો પાસેથી લોહી લેવું એ આ નીતિના
સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ ઉપરાંત માત્ર ભારત જ નહીં, પરંતુ મોટાભાગના યુરોપિયન દેશોમાં પણ
જાતીય રીતે સક્રિય સમલૈંગિક પુરુષોના રક્તદાન પર કાયમી પ્રતિબંધ છે.
સરકારે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું કે, રક્ત ચઢાવવુંએ ગંભીર દર્દીઓ માટે જીવન
બચાવવાનો અંતિમ વિકલ્પ હોય છે. આવી સ્થિતિમાં સંક્રમણ ફેલાવવાનું જોખમ શૂન્ય હોવું જોઈએ. “આ
મુદ્દાને માત્ર વ્યક્તિગત અધિકારોના ચશ્માથી જોઈ શકાય નહીં. તેને જાહેર સ્વાસ્થ્યના વ્યાપક
દૃષ્ટિકોણથી જોવો જરૂરી છે.”




