આત્મનિર્ભર ભારત ત્યારે જ શક્ય છે જ્યારે તેના નાગરિકો નિરોગી હોય, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું. મુર્મુ ઉત્તર પ્રદેશમાં રામકૃષ્ણ મિશન સેવાશ્રમના નંદ કિશોર સોમાણી ઓન્કોલોજી બ્લોકના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા.
મુર્મુએ જણાવ્યું કે એક મજબૂત અને આત્મનિર્ભર ભારત ત્યારે જ શક્ય છે જ્યારે નાગરિકો નિરોગી હોય. તેમણે વધુમાં કહ્યું કે આજે કેન્સર સૌથી ગંભીર સ્વાસ્થ્ય પડકારો પૈકીનો એક છે. સમયસર નિદાન અને ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર દર્દીના જીવનને બચાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. પરંતુ કેટલાક પરિવારો માટે તેમની નાણાકીય પરિસ્થિતિને કારણે આ રોગની સારવાર અશક્ય હોય એવું લાગે છે.
ઉત્તર પ્રદેશના ત્રણ દિવસના પ્રવાસે રહેલા મુર્મુએ જણાવ્યું કે જાગૃતિ અભિયાન અને સમયસર તપાસ સુવિધાઓ દ્વારા કેન્સરની રોકથામ અને સારવાર પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ભારત તેના આરોગ્યસંભાળ માળખાને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. તેમજ કેન્દ્ર સરકાર આયુષ્યમાન ભારત જેવી ઐતિહાસિક યોજનાઓ સાથે તેને વધુ મજબૂત બનાવવા માટે પગલાં લઇ રહી છે.
મુર્મુએ જણાવ્યું કે કેન્સરની સારવાર પણ આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવે છે. જેનો લાભ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને મળે છે. તેમણે કહ્યું કે દેશભરમાં નવી એઇમ્સ અને મેડિકલ કોલેજોની સ્થાપના થઇ રહી હોવાથી ગ્રામીણ અને દૂરવર્તી વિસ્તારોમાં રહેતા લોકો માટે આરોગ્યસંભાળ વધુ સુલભ બની રહી છે.
તેમણે ટેલીમેડિસિન અને ઈ-હેલ્થ સેવાઓની પણ પ્રશંસા કરી હતી, જે ઘરે બેઠા નિષ્ણાંત ડોક્ટરો સાથે પરામર્શ કરવાની સુવિધા આપે છે. રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે રામકૃષ્ણ મિશને એ સાબિત કર્યું છે કે આધુનિક વિજ્ઞાન અને માનવીય કરુણાનું મિશ્રણ માનવતાના કલ્યાણ માટે અસાધારણ કાર્ય કરી શકે છે.





