ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના યુદ્ધની માઠી અસર હવે ગુજરાતના રસ્તાઓ પર દેખાઈ રહી છે. રાંધણ ગેસની તંગી બાદ હવે પેટ્રોલ-ડીઝલ પણ નહીં મળે તેવી અફવા વાયુવેગે આખા રાજ્યમાં પ્રસરતા જનજીવન ખોરવાયું છે.
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની અડધો કિલોમીટર લાંબી કતારો લાગી છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે ભીડને કાબૂમાં લેવા અને બોલાચાલી રોકવા માટે અનેક સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે. ગઇકાલ બપોરથી અફવા બાદ સરકારે વારંવાર પેટ્રોલનો પૂરતો જથ્થો હોવાની અપીલ કરી. તેમ છતાં મોડી રાત સુધી પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી હતી. આજે પણ વહેલી સવારથી જ લોકો વાહનોમાં પેટ્રોલ નંખાવવા માટે કતારમાં લાગી ગયા છે. અફવાને કારણે અમદાવાદમાં જ દરરોજના સરેરાશ 30 લાખ લિટર પેટ્રોલ અને 60 લાખ લિટર ડીઝલના વપરાશ સામે ગઇકાલે જ બમણો ઉપાડ નોંધાયો હોવાનો અંદાજ છે.
આજે (24મી માર્ચ) સવારથી જ અખબારનગરથી પ્રગતિનગર અને અંકુર રોડ પેટ્રોલ પંપ પર ટ્રાફિક જોવા મળ્યો છે. અમદાવાદીઓ ઊંઘમાંથી ઉઠ્યા નથી કે બાઈક લઈને પેટ્રોલ પંપ પર પહોંચી ગયા હતા.
સરકારે રાજ્યમાં ઈંધણનો પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાવાની જરૂર નથી. જોકે, જનતાને આ આશ્વાસન પર ભરોસો બેસતો નથી. લોકોને કોરોનાકાળનો એ સમય યાદ આવી રહ્યો છે જ્યારે રેમડેસિવિર ઈન્જેક્શન અને હોસ્પિટલના ખાટલા માટે સરકારી વાયદાઓ વચ્ચે રઝળપાટ કરવો પડ્યો હતો.


