નવસારી જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વાંસદા તાલુકા સહિત
આસપાસના વિસ્તારોમાં સવારે 5:27 કલાકે ધરા ધ્રૂજતા લોકો નિદ્રામાંથી જાગી ગયા હતા અને
ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. સીસ્મોલોજી સેન્ટરના જણાવ્યાનુસાર, રિક્ટર સ્કેલ પર
આ આંચકાની તીવ્રતા 3.4 નોંધાઈ છે.
ભૂકંપના આ આંચકાની સૌથી વધુ અસર વાંસદાના જૂજ ડેમ નજીકના ગામોમાં જોવા મળી હતી. સ્થાનિક
રહેવાસીઓના જણાવ્યાનુસાર, ડેમના કારણે આ પંથકમાં અવારનવાર ભૂસ્તરીય હલચલનો અનુભવ
થાય છે. આ પૂર્વે પણ અનેકવાર આ વિસ્તારમાં હળવા આંચકાઓ નોંધાઈ ચૂક્યા છે, જેને લઈને
સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ગુજરાતની સરહદે આવેલા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં હોવાનું સામે આવ્યું છે.
મહારાષ્ટ્રમાં થયેલી આ હલચલની સીધી અસર સરહદી એવા વાંસદા તાલુકાના ગામડાઓમાં જોવા મળી
હતી. વહેલી સવારે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા ત્યારે અચાનક આવેલા આંચકાથી અફરાતફરી મચી
ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. કોઈ મોટા
માલ-મિલકતના નુકસાનના અહેવાલ પણ પ્રાપ્ત થયા નથી.




