દેશભરમાં ઉનાળાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે વર્ષ 2026ના ચોમાસાને લઈને ચિંતાજનક પૂર્વાનુમાન જાહેર કર્યું છે. આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું છે કે, આ વર્ષે નૈઋત્યનું ચોમાસું સામાન્ય કરતા થોડું ‘સુસ્ત’ રહી શકે છે.
આઈએમડીના અનુમાન મુજબ, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં લોન્ગ પીરિયડ એવરેજના માત્ર 92 ટકા વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે આ વર્ષે વરસાદમાં 8 ટકા જેટલી ઘટ જોવા મળી શકે છે, જેને હવામાનની ભાષામાં ‘સામાન્ય કરતા ઓછો’ વરસાદ માનવામાં આવે છે.
વરસાદમાં આ ઘટાડા માટે મુખ્યત્વે ‘અલ-નીનો’ જવાબદાર હોવાનું મનાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પ્રશાંત મહાસાગરમાં ચોમાસા દરમિયાન અલ-નીનો સક્રિય થવાની સંભાવના છે, જે વરસાદને નબળો પાડવા માટેનું મુખ્ય પરિબળ બની શકે છે.
જોકે, રાહતની વાત એ પણ છે કે સીઝનના અંત સુધીમાં હિંદ મહાસાગરમાં ‘પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાઇપોલ’ સર્જાઈ શકે છે, જે નબળા પડતા ચોમાસાને થોડો ટેકો આપી શકે છે. આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે જૂન સુધી સ્થિતિ ન્યૂટ્રલ રહેશે, પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ પર વધુ અસર પડવાની આશંકા છે.
પ્રાદેશિક વિતરણની વાત કરીએ તો દેશના મધ્ય અને પશ્ચિમના ભાગોમાં વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની સૌથી વધુ શક્યતા છે. જોકે, ઉત્તર-પશ્ચિમ ભારત, પૂર્વોત્તર રાજ્યો અને દક્ષિણ દ્વીપકલ્પના કેટલાક ભાગોમાં વાદળો મહેરબાન રહેશે અને ત્યાં સામાન્ય કે તેથી વધુ વરસાદની આશા છે.
ખેતીવાડી પર તેની અસર અંગે સ્પષ્ટતા કરતા વિભાગે કહ્યું કે જૂન અને જુલાઈમાં ખરીફ પાકની વાવણીના સમયે વરસાદની સ્થિતિ બહુ પ્રતિકૂળ નહીં હોય, પરંતુ સીઝનના બીજા ભાગમાં ઓછો વરસાદ ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલું આ પ્રથમ પ્રારંભિક અનુમાન છે. નવી ડાયનેમિક અને સ્ટેટિસ્ટિકલ સિસ્ટમનો ઉપયોગ કરીને આ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વિભાગ ફરીથી બીજું અપડેટેડ પૂર્વાનુમાન જાહેર કરશે, જેમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેનું વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવશે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી-NCR અને ઉત્તર ભારતમાં તાપમાનમાં થયેલો અચાનક વધારો સૂચવે છે કે આગામી દિવસોમાં ગરમીનું જોર હજુ પણ વધશે.

