ભારત સરકારના કેન્દ્રીય કાયદા મંત્રાલયે એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરીને ‘નારી શક્તિ વંદન
અધિનિયમ’ (મહિલા અનામત કાયદો) ને 16 એપ્રિલ 2026 થી અમલમાં લાવવાની જાહેરાત કરી છે.
સપ્ટેમ્બર 2023 માં સંસદ દ્વારા પસાર કરાયેલા આ 106માં બંધારણીય સુધારા હેઠળ લોકસભા અને
રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે એક-તૃતીયાંશ (33%) બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે.
કાયદો અમલમાં આવ્યો હોવા છતાં, વર્તમાન લોકસભામાં મહિલાઓને તેનો લાભ તરત મળી શકશે
નહીં. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અનામત આગામી વસ્તી ગણતરી બાદ થનારા સીમાંકનની
પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ લાગુ થશે. હાલમાં સંસદમાં જે ચર્ચાઓ ચાલી રહી છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય આ
અનામતને 2029 ની ચૂંટણી થી અમલમાં લાવવાનો છે. 16 એપ્રિલથી અમલીકરણ પાછળ
અધિકારીઓએ માત્ર ‘તકનીકી કારણો’ હોવાનું જણાવ્યું છે. આ કાયદો લાગુ થવા છતાં વર્તમાન
લોકસભામાં મહિલાઓને તેનો લાભ તુરંત નહીં મળી શકે. મહિલાઓ માટે અનામત આગામી વસતી
ગણતરીના આધારે સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ લાગુ થઈ શકશે. પીએમ મોદીએ વિપક્ષને
આડે હાથ લેતા જણાવ્યું કે, “આ અવસર રાજકીય ત્રાજવે તોલવાનો નથી પણ વિકસિત ભારત બનાવવા
માટે સાથે મળીને ચાલવાનો છે. દેશની નારી શક્તિ આપણા નિર્ણયની સાથે આપણી નીયત પણ જોઈ
રહી છે, જો નીયતમાં ખોટ હશે તો દેશની મહિલાઓ ક્યારેય માફ નહીં કરે.”
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “મહિલાઓ વારંવાર
બહેકાવનારા પુરુષોને ઝટ ઓળખી લે છે. સીમાંકન અને વસ્તી ગણતરીના નામે આ બિલને લંબાવવામાં
આવી રહ્યું છે, જેમાં રાજકારણની ગંધ આવે છે.” તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ મહિલા અનામતનું સમર્થન કરે
છે પરંતુ સરકારની કાર્યપદ્ધતિ શંકાસ્પદ છે.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સરકારે તમામ પક્ષો સાથે વાતચીત કરી છે અને મલ્લિકાર્જુન
ખડગેને ત્રણ વાર પત્ર પણ લખ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે શુક્રવાર સાંજે 4 વાગ્યે આ અંગે મતદાન થશે
અને સરકાર આનો શ્રેય લેવા માંગતી નથી, પરંતુ મહિલાઓને તેમનો હક અપાવવા કટિબદ્ધ છે.



