ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરતા પરિણામમાં સુધારો જોવા મળ્યો છે. આ વર્ષે ધોરણ-૧૦ નું વિક્રમજનક પરિણામ 83.86% રહ્યું છે.ગયા વર્ષના પરિણામની તુલનામાં આ વર્ષે 1.30% નો વધારો થયો હતો.
આ પરીક્ષામાં કુલ 769993 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 756392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 634327 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 83.86 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જયારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 70934 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 67404 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 22598 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 33.53 ટકા આવ્યું હતું. આ ઉપરાંત જીએસઓએસ પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 25313 પરીક્ષાર્થીઓ પૈકી 23353 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 6590 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 28.22 ટકા આવ્યું હતું.ધો. 10 બોર્ડની પરીક્ષા સમગ્ર રાજયના 1006 કેન્દ્રોમાં લેવામાં આવી હતી.
ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100 ટકા પરિણામ મેળવીને મોખરે રહ્યું હતું. જ્યારે દાહોદ જિલ્લાનું મુનખોસલા કેન્દ્ર 33.74 ટકા પરિણામ મેળવી સૌથી છેલ્લે રહ્યું હતું.
આ વર્ષે પરીક્ષા દરમ્યાન ગેરરીતિના 05 કેસ નોંધાયેલ હતા. જ્યારે સીસીટીવી કેમેરાના વીડિયો ફૂટેજના આધારે પ્રાથમિક રીતે ગેરરીતિમાં સામેલ જણાતા 233 પરીક્ષાર્થીઓના પરિણામ અંગે બોર્ડની પરીક્ષા સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કરી ગેરરીતિમાં સામેલ તમામ પરીક્ષાર્થીઓનો નિર્ણય કરવામાં આવેલ છે.ચાલુ વર્ષે રાજ્યની અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની જેલોમાં ગોઠવાયેલ પરીક્ષા કેન્દ્રોમાં 61 બંદીવાન પરીક્ષાર્થીઓની પરીક્ષા માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. જેમાંથી 51 બંદીવાન પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડ કક્ષાના વિષયોમાં નિયમિત પરીક્ષાર્થીઓની પરીક્ષા પદ્ધતિ મુજબ 80 ગુણનું પ્રશ્નપત્ર અને શાળાકીય આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ મુજબ પરીક્ષા યોજવામાં આવેલ હતી. આ ઉપરાંત વોકેશનલ 17 વિષયની 30 ગુણની પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ હતી. જયારે 50 ગુણનું પ્રેક્ટિકલ સમગ્ર શિક્ષા દ્વારા અને 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન જે-તે સંસ્થા કે શાળા દ્વારા કરવામાં આવ્યું હતું.
કુલ 4738 દિવ્યાંગ પરીક્ષાર્થીઓને એક કલાક વધુ સમયનો લાભ આપવામાં આવેલ તેમજ જરૂરિયાતવાળા દિવ્યાંગ ઉમેદવારોને લહિયાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. દિવ્યાંગોને સુવિધા ખાતર ભોંયતળિયે પ્રશ્નપત્રની ખાસ સુવિધા કરવામાં આવી હતી. કુલ દિવ્યાંગમાંથી ઉપસ્થિત 4449 અને પ્રમાણપત્રને પાત્ર 2668 ઉમેદવારો છે.






