પોતાના જાજરમાન ઐતિહાસિક વારસા માટે સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત એવા સિહોર (પ્રાચીન નામ: સિંહપુર) ના ગૌરવ સમાન ‘સુરકા દરવાજા’નો જમણી બાજુનો એક મોટો ભાગ તાજેતરમાં ધરાશાયી થઈ ગયો છે. રાજા-મહારાજાઓના સમયમાં ચોર-લૂંટારાઓ અને જંગલી પશુઓથી રક્ષણ મેળવવા માટે સિહોરની ફરતે કિલ્લેબંધી કરવામાં આવી હતી, જેનો એક મુખ્ય અંશ આ સુરકાનો દરવાજો છે. કાળની અનેક થપાટો ખાઈને કટોકટીભરી સ્થિતિમાં ઉભેલા આ દરવાજાનો એક ભાગ તૂટી પડતાં પ્રાચીન અવશેષો ખંડિત થયા છે.
સ્થાનિક તંત્રની ઘોર ઉદાસીનતાના કારણે આ ઐતિહાસિક ધરોહર દિવસે-દિવસે વિસરાઈ રહી છે. સિહોરમાં ભાવનગરી દરવાજો આજે પણ હયાત છે, પરંતુ સુરકા દરવાજાના સ્થાને હવે માત્ર સાપ ગયા ને લીસોટા રહ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જો વહીવટી તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક રિપેરિંગ કે સંરક્ષણનું નક્કર આયોજન કરવામાં નહીં આવે, તો સિહોરની આન, બાન અને શાન સમાન આ કિલ્લાના અવશેષો આગામી સમયમાં માત્ર પુસ્તકોના પાના પૂરતા જ સીમિત રહી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.




