ભાવનગરનું વૃધ્ધાશ્રમ છેલ્લા ૫૦ વર્ષોથી કાર્યરત છે. તે સમયે વૃધ્ધાશ્રમની સ્થાપના શહેરના સામાજિક કાર્યના અગ્રણી એવા માનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. આજે ૫૦ વર્ષ બાદ ભાવનગર વૃધ્ધાશ્રમની સુવાસ સમગ્ર ભારતભરમાં પ્રસરી છે. ભાવનગર વૃધ્ધાશ્રમની શરૂઆત માત્ર ૧૦ વૃધ્ધ-વડીલોથી થઈ હતી. જે આજે ૨૫૦ કરતા વધુ થઈ ગઈ છે. સભ્ય સંખ્યા વધતા જરૂરિયાત જણાતા ૨૦૦૪ની સાલમાં નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા નવા બનાવાયેલ આધુનિક બિલ્ડિંગનું ઉદ્ધઘાટન રવિવારે કરવામાં આવશે.
અહીંયા વડીલોની પ્રાથમિક જરૂરિયાતો, સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમો, રમત-ગમતની પ્રવૃત્તિઓ, વર્ષ દરમિયાન આવતા તમામ તહેવારોની ઉજવણી વૃધ્ધાશ્રમમાં થાય છે. વડીલોના સ્વાસ્થ્યની કાળજી માટે પૌષ્ટિક ભોજન તથા મૅડિકલ સુવિધાઓ ઉપલબ્ધ છે.માનભાઈ ભટ્ટ દ્વારા ઉભુ કરાયેલ વૃધ્ધાશ્રમનું બિલ્ડીંગ ૫૦ વર્ષો પછી જર્જરીત થઈ જતા ટ્રસ્ટી મંડળ દ્વારા આ બિલ્ડીંગને જમનીદોસ્ત કરી નવુ આધુનિક તમામ સગવડતાવાળુ આશરે રૂા. ૧૫ કરોડના ખર્ચે બનાવવાનું નકકી કરવામાં આવ્યું. તમામ ટ્રસ્ટીઓની મહેનત અને ભાવનગર વૃધ્ધાશ્રમની એક અનોખી જ છબીના કારણે જરૂરી તમામ રકમનું ડોનેશન વિવિધ ઉદાર દાતાઓ તરફથી માત્ર ત્રણ મહિનામાં એકત્રિત થઈ ગયું. વૃધ્ધાશ્રમના નવા બિલ્ડીંગ બનાવવાના કામકાજ માટે ચાર ટ્રસ્ટીઓની કમિટી બનાવવામાં આવી. અચ્યુતભાઈ મહેતા, કિર્તીભાઈ સખપરા, દેવેનભાઈ શેઠ તથા સંજયભાઈ શાહ. નવા બિલ્ડીંગનું કામ રજનીકાંતભાઈ મચ્છર, અતુલભાઈ વોરા તથા કમલેશભાઈ ડોડીયાને સોંપવામાં આવ્યું.
ટ્રસ્ટી અચ્યુભાઈ મહેતા હાલ અમદાવાદ સ્થિર થયા હોવા છતાં ચિવટપૂર્વક અનેકવાર અમદાવાદથી ભાવનગર આવીને ખૂબ જ સરસ રીતે કામ સંભાળ્યું કિર્તીભાઈ હાલ મુંબઈ સ્થિર થયેલ હોવા છતાં ભાવનગર આવીને બિલ્ડીંગના બાંધકામ માટે સમય આપીને સુંદર બિલ્ડીંગનું નિર્માણ કર્યું. આમ સૌ ટ્રસ્ટીની મહેનત અને ધગશથી આજે એક સુંદર મજાનું આધુનિક સગવડતા ધરાવતું ૧૯૦ વૃધ્ધ-વડીલોનો સમાવેશ થઈ શકે તેવું વૃધ્ધાશ્રમ તૈયાર થઈ ગયુ છે. સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઈ શાહએ પણ બિલ્ડીંગના બાંધકામમાં પોતાનું ઘણું જ યોગદાન આપ્યું છે. બિલ્ડીંગને લગતા સરકારી કાર્યો મંત્રી બુધાભાઈ પટેલ એ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. ભાવનગર વૃધ્ધાશ્રમ દ્વારા પોતાના ઘરે રહેતા વૃધ્ધ-વડીલો માટે એકદમ વ્યાજબી દરે શુધ્ધ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ટીફીન સવાર-સાંજ ઘરે પહોંચાડવામાં આવે છે. હાલમાં આશરે ૩૫૦ વૃધ્ધોને સવાર-સાંજ ઘરે બેઠા ટીફીન પહોંચે છે.આ નવા વૃધ્ધાશ્રમના બિલ્ડીંગનું નામ મુખ્ય દાતાએ સૂચવેલ “શ્રી કિરણભાઈ દ્વારકાદાસ સંઘવી વૃદ્ધનિકેતન” રાખવામાં આવ્યું છે. આ દાતા તરફથી સંસ્થાને રૂા. ૨ કરોડ ૪૧ લાખનું અનુદાન મળેલ છે. સંસ્થાના દરેક ટ્રસ્ટીઓએ નવા વૃધ્ધાશ્રમ માટે પોતાનું આર્થિક યોગદાન આપ્યું છે. પ્રમુખ નીલાબેન ઓઝા તથા મંત્રી બુધાભાઈ પટેલના માર્ગદર્શન નીચે તમામ ટ્રસ્ટીઓએ નવું વૃધ્ધાશ્રમ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે. ભાવનગર વૃધ્ધાશ્રમને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ ભૂતકાળમાં રાષ્ટ્રપતિના વરદ્ હસ્તે એવોર્ડ પણ મળેલ છે.
dhashram
વૃધ્ધાશ્રમના સહમંત્રી દેવેનભાઈ શેઠએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે ટ્રસ્ટી મંડળે નવા બિલ્ડીંગ બનાવવાનું નકકી કર્યું ત્યારે સૌથી મોટો પ્રશ્ન ૧૫ કરોડનું ભંડોળ કેમ એકઠું કરવું તે હતો, પરંતુ મિટીંગ દરમિયાન જ ટ્રસ્ટી અચ્યુતભાઈ મહેતાએ મુંબઈ સ્થિત તેમના મોટા બહેનને ફોન કરી રૂા.અઢી કરોડનું ડોનેશન મેળવી દીધું. આ ઉપરાંત વૃધ્ધાશ્રમનું નવુ બિલ્ડીંગ બાંધવામાં તેમનો સિંહ ફાળો રહ્યો. જુના વૃધ્ધાશ્રમમાં રહેતા વડીલોને નવુ વૃધ્ધાશ્રમ બની જાય ત્યાં સુધી અન્ય જગ્યાએ શીફટ કરવામાં પણ અચ્યુતભાઈએ જગ્યા તેમના જાણીતા પાસેથી મેળવી આપી. આમ સંસ્થાને ઉપયોગી બનવામાં અચ્યુતભાઈએ ત્રિવિધ ભુમિકા ભજવી હતી.



