યુક્રેન દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ હુમલાઓને કારણે રશિયાની ઓઈલ રિફાઈનરીઓ અને સપ્લાય
સિસ્ટમ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. પોતાની ઘરેલું બજારમાં પેટ્રોલ-ડીઝલની માંગને પહોંચી વળવા
માટે રશિયાને હવે ભારત સહિત અન્ય દેશો પાસેથી ઈંધણ ખરીદવાની ફરજ પડી રહી છે. આમ છતાં,
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુદ્ધના મેદાનમાંથી પીછેહઠ કરવા જરાય મૂડમાં નથી. યુક્રેન દ્વારા
રજૂ કરવામાં આવેલા યુદ્ધવિરામના પ્રસ્તાવને નકારી કાઢતા પુતિને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે,
રશિયાએ નક્કી કરેલા તમામ લક્ષ્યાંકો પૂરા ન થાય ત્યાં સુધી આ લડાઈ ચાલુ જ રહેશે.
બીજી તરફ, રશિયા દ્વારા ગુરુવારે યુક્રેનની રાજધાની કીવ પર કરવામાં આવેલા ભયાનક હુમલામાં
જાનમાલનું મોટું નુકસાન થયું છે અને મૃત્યુઆંક વધીને 30 પર પહોંચી ગયો છે. રાષ્ટ્રપતિ પુતિને આ
અંગે દાવો કર્યો છે કે, યુક્રેન રશિયાના ઊર્જા પ્લાન્ટ્સ (એનર્જી સેક્ટર્સ) પર હુમલા કરીને યુદ્ધના મોરચે
થઈ રહેલી પોતાની હાર પરથી વિશ્વનું ધ્યાન ભટકાવવા માંગે છે. જોકે, વૈશ્વિક સંરક્ષણ વિશ્લેષકોનું
માનવું છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી યુદ્ધના મેદાનમાં રશિયન સેનાની આગળ વધવાની ગતિ
નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે.
વ્લાદિમીર પુતિને સ્વીકાર્યું છે કે હાલનો સમય રશિયા માટે ખૂબ જ પડકારજનક છે, પરંતુ તેમણે આશા
વ્યક્ત કરી છે કે તેલ અને ગેસની આ કટોકટી પર ટૂંક સમયમાં કાબૂ મેળવી લેવાશે. ઉલ્લેખનીય છે કે,
યુક્રેને તાજેતરના મહિનાઓમાં રશિયાના ઓઈલ અને ગેસ સ્ટેશનો પર 50 થી વધુ મોટા હુમલા કર્યા છે.
આ હુમલાઓમાં રશિયાની કુલ 33 રિફાઈનરીઓમાંથી 24 ને ભારે નુકસાન પહોંચ્યું છે અને તેમાંથી
લગભગ અડધા કારખાનાઓમાં તેલ શુદ્ધિકરણનું કામ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે.
રશિયાના કબજા હેઠળના ક્રિમિયા દ્વીપકલ્પમાં (ક્રીમિયા પ્રાયદ્વીપ) પણ તેલ અને ગેસની ભારે અછત
સર્જાઈ છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતને કારણે ત્યાંના ફ્યુઅલ સ્ટેશનો પર વાહનોની કિલોમીટરો
લાંબી લાઈનો જોવા મળી રહી છે અને સામાન્ય જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે.






