ભાવનગર,તા.૭
ઈશ્વરકૃપાથી ચોમાસાની મોડી મોડી પરંતુ શાનદાર શરૂઆત થઈ છે. આ વર્ષ આપણે એટલી ગરમી જોઈ છે તેની ઉપરથી આવનારા વર્ષોમાં કેવી ગંભીર પરિસ્થિતિ સર્જાશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પ્રકૃતિ સાથેનો ખેલવાડ હવે જો આપણે બંધ નહીં કરીએ તો આગામી વર્ષોમાં મનુષ્યને પૃથ્વી ઉપર જીવવું દુષ્કર થઈ જશે તે નકકી છે. પર્યારવણને સુધારવા વધુમાં વધુ વૃક્ષારોપણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આજે ભૌતિક વિકાસના નામે પર્યાવરણને ભયંકર વિનાશ થઈ રહ્યો છે. વિકાસ માટે કરોડો વૃક્ષોનું છેદન દેશમાં થઈ રહ્યું છે. આના સામે વૃક્ષારોપણનું પ્રમાણ નહીવત છે.
વૃક્ષારોપણ પીંજરા સાથે કે ટ્રી-ગાર્ડ સાથે જ કરવું જરૂર નથી. એવા કેટલાય વૃક્ષો છે જે ટ્રી-ગાર્ડ વગર માત્ર લાકડીના ટેકે બાંધીને પણ કરી શકાય છે. આવા વૃક્ષોમાં સૌથી ઉપયોગી વૃક્ષ છે કરંજનું વૃક્ષ જે આપને ફોરેસ્ટની નર્સરીમાં કે અન્ય નર્સરીમાંથી ખૂબ જ વ્યાજબી ભાવે મળી જશે. આ વૃક્ષ લાવી આપણા ઘરના ફળીયામાં અથવા ઘરની બહારની બાજુએ ખુલ્લી જગ્યામાં એક નાખો ખાડો કરી વાવી દયો તેના ફરતે પાણી સમાય શકે તેવડો કયારો કરી નાખો, વૃક્ષ નમી ન જાય તે માટે એને કોઈ સ્ટીક કે લાકડીથી બાંધી દો. નિયમિતપણે છોડને પાણી આતા રહો, ૩ વર્ષમાં કરંજનો છોડ મોટો થઈ જશે, ત્યારબાદ સંભાળ લેવાની જરૂર નહીં પડે. કરંજનું વૃક્ષ ઝડપથી વધે છે. એના એકદમ લીલાછમ પોપટી કલરના પાન ખૂબ જ આકર્ષક લાગે છે. કરંજનાઔષધીય ગુણો ઘણાં જ છે. આયુર્વેદના મત પ્રમાણે કરંજના વૃક્ષની છાલ દાંતના તમામ રોગોનો શ્રેષ્ઠ ઉપચાર છે. તે ત્વચાના અનેક રોગ ખરજવુ, હર્પિસ અને સફેદ ડાઘમાં ઘણુ જ ગુણકારી છે. કરંજનું તેલ એન્ટિફંગલ અને બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે. માથાનો ખોડો દુર કરવા, ઘા રુઝાવવામાં ઉપયોગી છે. શરીરમાં ખંજવાળ અને સોયરાસીસમાં પણ કરંજ ખૂબજ ઉપયોગી સાબિત થયુ છે. કંરજના વૃક્ષના પાનને ગાય કે બકરા ખાતા નથી તેથી તે વૃક્ષ ઉગાડવા ટ્રી-ગાર્ડની જરૂર પડતી નથી.
આ સિવાય અન્ય કેટલાક વૃક્ષો જેવા કે ચંપો, કાસીદ, કરણ એવા વૃક્ષો છે કે જેને ટ્રી-ગાર્ડ વગર ઘરની બહારની બાજુએ ઉગાડી શકાય છે. ચંપાનું વૃક્ષ પણ એક આકર્ષક વૃક્ષ છે. તેના મોટા પાન અને ફુલો સુંદર લાગે છે. ચંપાના ફુલો ભગવાનને ચડાવવામાં પણ ઉપયોગી છે. તે જ રીતે કરણના ફુલો પણ ભગવાનને ચડાવી શકાય છે. ગ્રીનસીટી સંસ્થાને શહેરમાં ર લાખ વૃક્ષો ઉગાડવા અને તેનો ઉછેર કરવામાં ૧૫ વર્ષો લાગ્યા છે. જો ભાવનગરમાં દરેક ઘરના લોકો પોતાના આંગણામાં આ ચોમાસામાં માત્ર એક જ વૃક્ષ વાવી તેની સંભાળ લેશે તો માત્ર એક જ વર્ષમાં શહેરમાં ૨ લાખથી વધુ વૃક્ષો વધી જશે. અને ભાવનગર શહેર ગુજરાતનું સૌથી હરીયાળુ શહેર બની જશે. ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ એ ભવિષ્યની પેઢીને પ્રદુષણથી બચાવવા માટે દરેક ઘરના લોકોને અપીલ કરી છે કે કમ-સે-કમ ઘર પાસે એક વૃક્ષ ઉગાડે અને તેનો સંભાળપૂર્વક ઉછેર કરે. ‘છોડમાં રણછોડ છે’ એ સુત્ર મુજબ પણ આ એક અતિ પૂણ્યનું કામ છે.




