ભાવનગરમાં સ્વ. ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ ભાવનગર આયોજિત ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા ભાવનગરમાં નિકળે છે ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કલેક્ટર કચેરી આયોજન હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૪૦ વર્ષથી પરંપરાગત રીતે જગન્નાથજી રથયાત્રા ભાવનગરમાં યોજાય છે અને આ વર્ષે ૪૧ મી રથયાત્રાનું આયોજન તા. ૧૬/૭/૨૬ ના રોજ થનાર હોય જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તથા રથયાત્રા સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઇ હતી.
આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસ અધિક્ષકએ વિવિધ વિભાગોના અધિકારીઓને લેવાનાં પગલાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ અધિક્ષકશ્રીએ રથયાત્રાના રૂટમાં આવતાં ઝાડવાઓની ડાળીઓ કટીંગ, સતત લાઇટનો પુરવઠો જળવાય, રસ્તાની સફાઇ થઇ જાય, રસ્તામાં અડચણરૂણ વાયરો દૂર કરવામાં આવે, પાણીની સગવડ સચવાય વગેરે રથયાત્રા સંલગ્ન કામગીરી વિશે તંત્રનું માર્ગદર્શન કર્યું હતું.
રથયાત્રા સમિતિના હરૂભાઇ ગોંડલીયાએ રથયાત્રા તેના પરંપરાગત રૂટ પર નિર્વિધ્ને ચાલે તે માટેના વિવિધ સૂચનો કર્યાં હતાં. રથયાત્રા તેના નિર્ધારિત રૂટ પર ભાવેણાવાસીઓ માટે ફરશે તે માર્ગ પર જરૂરી સુવિધાઓ અને સગવડોની માહિતી તેમણે આપી હતી તથા તંત્ર પાસેથી જરૂરી મંજૂરી તથા સહકારની વિગતો રજૂ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નાયબ વન સંરક્ષક વાય. એ. દેસાઈ, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, પ્રાંત અધિકારી અક્ષર વ્યાસ તેમજ રથયાત્રા સમિતિના સભ્યો, જિલ્લાના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.





