ભાવનગર શહેરમાં આગામી રથયાત્રાના અનુસંધાને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. આ પેટ્રોલિંગ દરમિયાન ભાવનગર-રાજકોટ હાઇવે પર ચિત્રા ખાતે મસ્તરામ મંદિર અને સરકારી અનાજના ગોડાઉન પાસેથી બાતમીના આધારે પોલીસે એક ઈસમને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપીની ઓળખ હરીચંન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુભા નિરૂભા ગોહિલ ઉ.વ. ૪૩, રહે. વાંગધ્રા, તા.ઉમરાળા તરીકે થઈ છે. આ શખ્સ ઉમરાળા પોલીસ મથકમાં બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં નાસતો ફરતો હતો.
પોલીસે પંચોની રૂબરૂ આરોપીની અંગ ઝડતી કરતા તેના હાથમાં રહેલી થેલીમાંથી એક દેશી બનાવટનો લોખંડનો કટ્ટો (કિંમત રૂ. ૨,૦૦૦) મળી આવ્યો હતો. ત્યારબાદ વધુ તપાસ કરતા તેના પેન્ટના નેફામાંથી એક સિલ્વર મેટલ કલરની દેશી બનાવટની પિસ્ટલ (કિંમત રૂ.૧૦,૦૦૦) પણ મળી આવી હતી. પોલીસે પરવાના વગરના કુલ રૂ. ૧૨,૦૦૦ની કિંમતના આ બંને ઘાતક હથિયારો કબ્જે કર્યા હતા.
આરોપીની પૂછપરછમાં હથિયારો અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીએ કબૂલાત કરી હતી કે આ બંને ગેરકાયદેસર હથિયારો તે ગોંડલના ભોજરાપરા ખાતે રહેતા તેના મિત્ર વહતુભાઈ કાથડભાઈ કાઠી પાસેથી લાવ્યો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ) અને જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની અટકાયત કરી છે અને હથિયાર આપનાર શખ્સ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.






