કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં સીમાંત જિલ્લા પોલીસ અધિક્ષક સંમેલન-૨૦૨૬ ને સંબોધિત કર્યું. આ અવસરે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને બંડી સંજય કુમાર, કેન્દ્રીય ગૃહ સચિવ, નિયામક, ઇન્ટેલિજન્સ બ્યુરો અને સીમાંત રાજ્યોના પોલીસ મહાનિદેશકો સહિત કેટલાય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.
આ અવસરે પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ સંમેલનથી સમગ્ર સરહદ સુરક્ષાના દ્રષ્ટિકોણને સંસ્થાગત સ્વરૂપ મળ્યું છે અને આવનારા સમયમાં દરિયાકાંઠાની સરહદ સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં પણ આપણે સમગ્રતાથી આગળ વધીશું. તેમણે કહ્યું કે આ સંમેલનમાં સરહદોની સુરક્ષા સાથે જોડાયેલી સમસ્યાઓ પર ચર્ચા, નિરાકરણની ચિંતા અને આ દિશામાં યોગ્ય ઉપાયોને નીતિગત સ્વરૂપ આપવાનું કામ થશે.તેમણે કહ્યું કે સ્માર્ટ બોર્ડરની કલ્પના પર આધારિત ભારતની સરહદ સુરક્ષા વ્યવસ્થા આવનારા સમયમાં વિશ્વમાં સૌથી આધુનિક હશે. તેમણે કહ્યું કે મોદી સરકાર, સંબંધિત સરહદ રક્ષક દળ, રાજ્ય તેમજ જિલ્લા વહીવટીતંત્ર, ભારત સરકારના સંબંધિત હિતધારકો તથા સ્થાનિક નાગરિકોના પરસ્પર જોડાણ સાથે એક મજબૂત ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડનું નિર્માણ કરી રહી છે.શાહે કહ્યું કે સુરક્ષિત સરહદ, સમૃદ્ધ સીમાંત અને સજાગ સમાજની સાથે જ દેશ સુરક્ષિત થઈ શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશને જમ્મુ કાશ્મીર અને નોર્થઇસ્ટમાં આતંકવાદ અને નક્સલવાદથી મુક્તિ મળી છે જે આપણી સહિયારી સફળતાનું સૂચક છે. તેમણે કહ્યું કે આવનારા ૩ વર્ષોમાં આપણે નાર્કોટિક્સની સમસ્યાને ગંભીર નુકસાન પહોંચાડીને આના પર પણ વિજય પ્રાપ્ત કરીશું. તેમણે કહ્યું કે દેશને ઘૂસણખોર મુક્ત બનાવવા અને ઘૂસણખોરી થઈ જ ન શકે, તે માટે એક મજબૂત તંત્રનું નિર્માણ કરી રહ્યા છીએ. શ્રી શાહે કહ્યું કે પહેલા સમસ્યાઓ કાયમી અને સમાધાન અસ્થાયી હતા, મોદી સરકારમાં સમસ્યાઓના મૂળ પર પ્રહાર કરીને સમાધાનોને કાયમી બનાવવામાં આવી રહ્યા છે.
અમિત શાહે જણાવ્યું હતું કે મોદી સરકારે બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૪૦૦ ટકા વૃદ્ધિ કરીને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે આને આગળ વધાર્યું છે. પ્રધાનમંત્રી મોદી જીએ વાઇબ્રન્ટ વિલેજિસ પ્રોગ્રામ અંતર્ગત દેશના અંતિમ ગામને દેશનું પ્રથમ ગામ કહ્યું છે, આ અંતર્ગત સ્થળાંતર રોકવા, રોજગાર વધારવા અને સરકારી યોજનાઓનો સો ટકા અમલ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. શ્રી શાહે કહ્યું કે મોદી જીએ વસ્તી વિષયક પરિવર્તનનો અભ્યાસ કરવા, તેમાં અસામાન્ય કારણોસર થઈ રહેલી વૃદ્ધિને ચિહ્નિત કરવા અને ભવિષ્યમાં આને રોકવાના ઉપાયો સૂચવવા માટે ડેમોગ્રાફી મિશનની શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે રૂથલેસ એપ્રોચ (કઠોર અભિગમ) સાથે વસ્તી વિષયકમાં અસામાન્ય કારણોસર થઈ રહેલી વૃદ્ધિને રોકવી એ મોદી સરકારનો સંકલ્પ છે. ગૃહ મંત્રીએ કહ્યું કે સીમાંત વિસ્તારોમાં થઈ રહેલા વસ્તી વિષયક પરિવર્તનનું મૂળ કારણ ઘૂસણખોરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે સરહદ સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે મોદી સરકારે ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડનું નિર્માણ કર્યું છે જેનાથી આપણેpીહછૈં આપણા અભિગમને રિએક્ટિવથી પ્રોએક્ટિવમાં બદલ્યો છે. મોદી સરકાર આઇસોલેટેડ સરહદ ચોકીની વ્યવસ્થાથી સંકલિત સુરક્ષા ગ્રીડનું નિર્માણ કરવાની દિશામાં આગળ વધી રહી છે. ગૃહ મંત્રીએ સીમાંત વિસ્તારોમાં અસામાન્ય કારણોસર વસ્તી વિષયકમાં થઈ રહેલા ફેરફારોની માહિતી વહેલામાં વહેલી તકે નીચલા સ્તરથી ઉચ્ચ સ્તર સુધી પહોંચાડવાના મહત્વ પર ભાર મૂક્યો.મોદી સરકાર ૩૧ હજાર કરોડના ખર્ચે ૧૬૧૦ કિલોમીટર લાંબી મ્યાનમાર સરહદ પર વાડબંધી કરી રહી છે. તેમણે કહ્યું કે પ્રોક્સી વોર, ઘૂસણખોરી, કટ્ટરવાદનો પ્રસાર, નાર્કોટિક્સ, તસ્કરી, ડ્રોન, સાયબર ગુના, સંગઠિત ગુના અને વસ્તી વિષયક પરિવર્તન રોકવું, સરહદને રહેવા લાયક બનાવવી અને ત્યાંથી સ્થળાંતર રોકવું તથા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ અમારા ઉદ્દેશ્યો છે.






