ભાવનગર શહેરમાં આગામી તા. ૧૬ને ગુરુવારના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભાવનગર પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે. જેના ભાગરૂપે ઘોઘારોડ પોલીસ મથક અને એલ.સી.બી.ના સ્ટાફે આડોડિયાવાસ સહિતના વિસ્તારોમાં ધમધમતા દારૂના અડ્ડાઓ પર ત્રાટકીને મેગા ડ્રાઇવ હાથ ધરી હતી, જેમાં હજારો લીટર આથો નાશ કરી મોટા પ્રમાણમાં દેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસની અલગ-અલગ ટીમોએ રાત્રિના સમયે આડોડિયાવાસમાં સપાટો બોલાવ્યો હતો. રેડ દરમિયાન મહિલા બુટલેગરોના છાપરાઓમાંથી દેશી દારૂ બનાવવા માટેનો પીળા કલરનો પ્રવાહી ભરેલો આશરે ૨૬૨૫ લીટર જેટલો આથો મળી આવ્યો હતો. જેમાં સૌથી વધુ સોનાબેન ગૌતમભાઈ પરમારના છાપરેથી ૧૩૫૦ લીટર આથો ભરેલા ૯૦ ડબ્બા મળ્યા હતા. આ ઉપરાંત મીનાબેન મહેશભાઇ રાઠોડ પાસેથી ૩૭૫ લીટર, જ્યારે પાનબાઈ ક્રિપાલભાઈ પરમાર, કિષ્નાબેન અનીકેતભાઈ પરમાર અને મીનાબેન રાકેશભાઈ રાઠોડના છાપરેથી ૩૦૦-૩૦૦ લીટર આથો મળી આવ્યો હતો. પોલીસે તમામ ડબ્બાઓ તોડીને સ્થળ પર જ આથાનો નાશ કર્યો હતો.
આથા ઉપરાંત પોલીસે અલગ-અલગ દરોડામાં કુલ ૨૫૫ લીટર જેટલો તૈયાર દેશી દારૂ પણ કબજે કર્યો છે. જેમાં મીનાબેન રાકેશભાઈ રાઠોડ પાસેથી ૧૦૦ લીટર, રેખાબેન નરેશભાઈ રાઠોડ પાસેથી (બે અલગ દરોડામાં કુલ ૭૫ લીટર), મીનાબેન મહેશભાઇ રાઠોડ પાસેથી ૫૦ લીટર અને દીપક ચોક પાસે રહેતી મીનલબેન નરેશભાઈ પરમાર પાસેથી ૩૦ લીટર દેશી દારૂની કોથળીઓ ઝડપી લેવાઈ હતી. બીજી તરફ, જયશ્રીબેન સરજુભાઈ પરમારના છાપરેથી કિંગફિશર કંપનીના ૪ બીયરના ટીન પણ મળી આવ્યા હતા. દરોડા દરમિયાન મોટાભાગની મહિલા બુટલેગરો પોતાના છાપરા ખુલ્લા મુકીને ફરાર થઈ ગઈ હતી. પોલીસે તમામ ફરાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. રથયાત્રા પૂર્વે પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.






