બોટાદ પંથકમાં ચકચાર જગાવનાર આરએમએસ હોસ્પિટલના ટ્રસ્ટીની હત્યાના કેસમાં બોટાદની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે હત્યારાને હત્યાના ગુનામાં કસૂરવાર ઠેરવી આજીવન કેદની આકરી સજા અને દંડ ફટકાર્યો છે.
ધંધુકા સ્થિત આરએમએસ હોસ્પિટલના ટ્રસ્ટી અને પાટીદાર સમાજના અગ્રણી ધરમશીભાઈ મોરડીયાની હત્યાના સંવેદનશીલ કેસમાં બોટાદની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટના મુખ્ય જજ એમ.જે.પરાશર ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપી કલ્પેશ સવજીભાઈ મેરને હત્યાના ગુનામાં કસૂરવાર ઠેરવી આજીવન કેદની આકરી સજા અને દંડ ફટકાર્યો છે.
આ ચકચારી ઘટના અંગે ફરિયાદી હરીશ મોરડીયા દ્વારા બરવાળા પોલીસ સ્ટેશન ખાતે આરોપી કલ્પેશ સવજીભાઈ મેર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા અને તેના સામાજિક પ્રત્યાઘાતોને તપાસ અધિકારી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાના પ્રાવધાનો મુજબ તટસ્થ અને વૈજ્ઞાાનિક ઢબે ફોરેન્સિક પુરાવાઓ એકત્રિત કરી કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. સરકાર પક્ષે આ કેસની મજબૂત પેરવી કરવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એડવોકેટ ઉત્પલભાઈ દવેની નિમણૂક કરવામાં આવી હતી. કોર્ટ સમક્ષ તપાસ અધિકારી દ્વારા એકત્ર કરાયેલા સચોટ વૈજ્ઞાાનિક અને ફોરેન્સિક પુરાવાઓ તેમજ સ્પેશિયલ પીપીની કાયદાકીય દલીલોને ગ્રાહ્ય રાખીને, જજ એમ.જે. પરાશરે આરોપીને કડક આજીવન કેદની સજા ફટકારેલ છે.



