ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અક્ષરપાર્કમાં ગઈકાલે થયેલી મારામારી અને તોડફોડના બનાવમાં પોલીસે ત્વરિત અને કડક કાર્યવાહી કરી છે. ફરિયાદીની દુકાન પર પથ્થરમારો કરી, નુકસાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ આરોપીઓને બોરતળાવ પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લઇ લોકઅપ હવાલે કર્યા છે.
ભાવનગર રેન્જ આઈ.જી. આર.વી. અસારી, એસ.પી. નિતેશ પાંડેય અને ડીવાયએસપી આર.આર. સિંઘાલના માર્ગદર્શન હેઠળ તેમજ ઈન્ચાર્જ પી.આઈ. વી.સી. જાડેજાની સૂચનાથી અસામાજિક તત્વો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અક્ષરપાર્ક વિસ્તારની આ ઘટના અંગે બોરતળાવ પોલીસ મથકમાં બી.એન.એસ. કલમ-૧૨૫(એ), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ અને ૩૨૪(૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો દાખલ થતા જ બોરતળાવ સર્વેલન્સ અને પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા. જેમાં પોલીસે શૈલેશભાઈ ધનજીભાઈ પરમાર રહે. ખારીયા હનુમાન, અક્ષરપાર્ક, ભાવનગર,નરેશભાઈ ઉર્ફે મખ્ખી પ્રવિણભાઈ પરમાર રહે. ખારીયા હનુમાન, અક્ષરપાર્ક, ભાવનગર તથા મનિષભાઈ નરેશભાઈ બારૈયા રહે. રામદેવનગર, ભાવનગર સહીત ત્રણ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે એક આરોપી સન્ની રાજુભાઈ મકવાણા રહે. માઢીયા રોડ, બાથાભાઈના ચોક પાસે, ભાવનગર વાળો હજુ ફરાર હોવાથી તેને પકડવા તજવીજ ચાલુ છે.




