નેપાળમાં આવેલા ભયાનક પૂરે ભારે વિનાશ સર્જ્યો છે, જેના કારણે મૃત્યુઆંક વધીને ૯૫૫ પર પહોંચી ગયો છે. આ કુદરતી હોનારતના કારણે ચારેય તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં હજારો લોકો વિસ્થાપિત થવા મજબૂર બન્યા છે અને હજુ પણ અનેક લોકો લાપતા છે. હાલમાં સેના દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.
નેપાળ પૂરમાં તણાયેલા લોકોના 17 મૃતદેહ ઉત્તર પ્રદેશમાં ગંડક નદીમાંથી મળ્યા છે. જેમાં 13 મૃતદેહ કુશીનગરના ખડ્ડા અને તમકુહી રાજ તહસીલોમાં મળ્યા. તો બીજી તરફ, મહારાજગંજમાંથી મળેલા 4 મૃતદેહ સોમવારે નેપાળ પ્રશાસનને સોંપી દેવામાં આવ્યા, જેમાં 3 મહિલાઓ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓળખ ન થવા પર પોસ્ટમોર્ટમ દરમિયાન DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. બીજી બાજુ, પૂર પહેલા જરૂરી ડેટા શેર ન કરવાના આરોપો પર ચીને કહ્યું કે તેના વર્લ્ડ મેટ્રોલોજિકલ સેન્ટરે 12 દિવસ પહેલા જ નેપાળને ઈમેલ મોકલીને ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરની ચેતવણી આપી હતી
———————–






