પાકિસ્તાનમાં ખૈબર પ્રાંતમાં કોહાટ જિલ્લામાં શુક્રવારની નમાઝ સમયે જ મસ્જિદમાં મોટો આત્મઘાતી વિસ્ફોટ થયો હતો, આશરે સાત જેટલા ફિદાયીન હુમલાખોરો ત્રાટક્યા હતા, વિસ્ફોટની સાથે અંધાધુંધ ગોળીબાર પણ કર્યો હતો. જેમાં ૨૭ લોકો માર્યા ગયા હતા. કોહાટમાં શિયા મુસ્લિમો બહુમતમાં છે, તેથી શક્યતાઓ છે કે શિયાઓને ટાર્ગેટ બનાવીને જ આ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હોઇ શકે છે. માર્યા ગયેલા લોકોમાં ૧૬ પોલીસકર્મીઓ જ્યારે અન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.
શિયાઓના વિસ્તાર કોહાટમાં શુક્રવારે મસ્જિદમાં નમાઝ માટે ભારે ભીડ હતી, આ દરમિયાન જ સાત આતંકવાદીઓ વિસ્ફોટકો ભરેલું વાહન લઇને આવ્યા હતા અને પુર ઝડપે મસ્જિદના ગેટ સાથે આ વાહન અથડાવ્યું હતું. જેને કારણે ગેટ પર જ ભયાનક વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં નમાઝીઓના ચીથડે ચીથડા ઉડી ગયા હતા. જ્યારે હુમલાખોર આતંકવાદી પણ વિસ્ફોટમાં માર્યો ગયો હતો. આ હુમલામાં ૭૮થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર છે. વિસ્ફોટ એટલો તિવ્ર હતો કે જેને કારણે મસ્જિદની છત તૂટીને નીચે પડી હતી. દિવાલોને પણ ભારે નુકસાન થયું હતું.
આ બર્બર હુમલાની જવાબદારી ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન પાકિસ્તાન દ્વારા લેવામાં આવી છે, સુન્ની મુસ્લિમ આતંકવાદીઓનું આ સંગઠન એપ્રીલ ૨૦૨૫માં બનાવવામાં આવ્યું હતું. આ સંગઠન અન્ય સુન્ની સંગઠનો જેમ કે હાફીઝ ગુલ બહાદુર, આઇઆઇપી વગેરે સાથે જોડાયેલું છે.પાક.ના વડાપ્રધાન શહબાઝ શરીફે કહ્યું હતું કે હુમલામાં સામેલ કોઇને પણ બક્ષવામાં નહીં આવે અને આકરી સજા આપીશું.આ હુમલામાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ માર્યા ગયા છે કેમ કે હુમલા સ્થળની બાજુમાં જ પોલીસ લાઇન પણ આવેલી છે.





