આસો નવરાત્રી ૨૬ સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહી છે. દેશ વિદેશમાં રાસ ગરબાની ધૂમ મચશે. જાે કે આ નવરાત્રિમાં ગોહિલવાડના ખેડૂતોએ કંઈક અલગ જ રીતે મા ધરતીની આરતી અને પ્રકૃતિની આરાધના કહી શકાય તેવું વિશેષ આયોજન કર્યું છે. નવરાત્રિના આ દિવસોમાં આરાધકો શક્તિ આરાધના અને ખેલૈયાઓ ગરબે ઘૂમતા હશે ત્યારે આ ખેડૂતો અને જાગૃત નાગરિકો ધરતીને રસાયણથી મુક્ત કરવા, પ્રકૃતિને શુદ્ધ કરવાના પ્રયાસ સાથે ગામડે ગામડે રથ લઈને ફરતા હશે.
તળાજા તાલુકાના હબુકવડની પ્રાથમિક શાળાના શિક્ષક અને સાથે ખેડૂત કનુભાઈ નાગજીભાઈ ભટ્ટ આ અભિયાન અંગે કહે છે કે,પ્રકૃતિ તરફ વળવું તે હવે વિકલ્પ નહીં પરંતુ આવશ્યક બન્યું છે ત્યારે વધુને વધુ કૃષિ પ્રાકૃતિક રીતે થાય તે માટે આ પ્રકારે આયોજન અમે હાથ ધર્યું છે. ૨૬ સપ્ટેમ્બરથી દશેરા સુધી ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કૃષિ રથ લઈને કાર્યકરો ફરશે. આ દસ દિવસમાં ૭૦૦થી વધુ ગામડાઓ ફરીને ૭૫ હજાર કરતા વધુ ધરતીપુત્ર એટલે કે ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતી – ગૌવંશ આધારિત ખેતીનો સંદેશો પહોંચાડવામાં આવશે.
રોહિતભાઈ ગોટી કહે છે કે, જે ગામમાં આ રથ જશે ત્યાં ગ્રામસભા, શેરી નાટક, પ્રાકૃતિક ખેતીવાળા ફાર્મની મુલાકાત, ગૌ, ધરતી, સપ્તધાન પૂજા, આરતી તથા સંતો અને અગ્રણીઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન સહિતના કાર્યક્રમો યોજાશે. જે ગામમાં રથ પહોંચશે ત્યાં સમગ્ર વ્યવસ્થા તે ગામના લોકો જ સંભાળશે એટલે કે આયોજન અને વ્યવસ્થા બધું જ સ્વયંભુ છે. અહીં કોઈ સરકારી કાર્યક્રમ નથી કે નથી કોઈ યોજના અંતર્ગત આયોજન. સ્વયંભૂ રીતે હાથ ધરાયેલું અભિયાન છે.
નારસંગભાઈ મોરી અને અજીતસિંહ ગોહિલ કહે છે કે, મૂળભૂત રીતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીને ગામડે ગામડે પહોંચાડી ખેડૂત ઝીરો ખર્ચથી રસાયણ મુકત અને સવાયો દોઢો પાક લઈ શકે છે તે સંદેશ પહોંચાડવાનો અમારો ઉદ્દેશ છે. અમે પણ ખેડૂત છીએ અને અમે આ પરિણામ મળ્યું છે તેથી વધુને વધુ લોકોને આ લાભ મળે તે અમારો પ્રયાસ છે.ભાઈશંકરભાઈ ધાંધલ્યા, મુળરાજસિહ પરમાર, હરીભાઇ જસાણી અને બીજા અનેક ખેડૂત કાર્યકરો કોઈ જ અપેક્ષા વગર આર્ત્મનિભર ખેડૂતથી આર્ત્મનિભર ભારત એ દિશામાં કામ કરી રહ્યા છે. તેઓ કહે છે, ભાવનગર જિલ્લામાં ૨૦૦૦ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ગૌ વન આધારિત ખેતી કરી રહ્યા છે આઝાદીના ૭૫ વર્ષ સાથે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે જાે ૭૫૦૦ ખેડૂતો પણ પોતાના ખેતરમાં રસાયણ મુકત, પ્રાકૃતિક પાકરૂપ અમૃત અનાજ, શાકભાજી લેતા થાય તો મોટી સફળતા ગણી શકાય.
દેશમાં સંભવત પ્રથમ આયોજન, કોઇ પ્રમુખ કે મંત્રી નહીં ! : સંગઠનને રાજ્યપાલે આપી છે માન્યતા
નોંધનીય છે કે આટલું મોટું અને દેશમાં પ્રથમવાર આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે છતાં ન તો કોઈ પ્રમુખ છે ન તો કોઈ મંત્રી. સહુ કોઈ સંયોજક તરીકે પોત પોતાની જવાબદારી વહન કરી રહ્યા છે અને કોઈ જ હોદ્દા – પદની ઈચ્છા વગર પોતાનું યોગદાન આપી રહ્યા છે. આવા જ સંયોજક લાલજીભાઈ સોલંકી કહે છે કે અમારા આ સંગઠનને ગુજરાતના રાજ્યપાલએ પણ માન્યતા આપી છે અને કામને બિરદાવ્યું છે પરંતુ અમે આવશ્યકતા સિવાય લેટર હેડ પણ વાપરતા નથી. નવરાત્રીમાં ધરતી માતાની આરતી જેવા આ કાર્યક્રમમાં વહીવટી તંત્રથી માંડી સહુ કોઈનું સહયોગ મળ્યો છે વાલજીભાઈ કાત્રોડીયા કહે છે કે, આ માત્ર ખેડૂતોનો જ નહીં પરંતુ ધન ઉગાડનાર અને ખાનાર બંનેનો કાર્યક્રમ છે. આથી શહેર કક્ષાએ પણ સ્પર્ધાઓ અને પ્રાકૃતિક ખોરાક અંગે જાગૃતિના કાર્યક્રમો પણ યોજાશે.




