પ્રથમ વિશ્વયુદ્ધના સમયે ભાવનગર રાજ્યના સૈનિકોએ લડેલી હાઇફાની લડાઇ અને જીતથી આજની પેઢી અજાણ છે ત્યારે ભાવનગર જિલ્લા માજી સૈનિક એસોસિએશન દ્વારા આવતીકાલ તા.૧૮ સપ્ટેમ્બરના સાંજે ૪ થી ૬ દરમિયાન સરદારનગર સ્વામિનારાયણ ગુરૂકુળ સભાખંડ ખાતે હાઇફા ડેની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો છે.
આ અંગે આજે પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે, આર્મી પ્રોટોકોલ પ્રમાણે આ કાર્યક્રમ થશે. જે પ્રથમ ઘટના છે. લશ્કરના પ્રોટોકોલ ભાવનગરીઓને ઘર આંગણે માણવા મળશે. પત્રકાર પરિષદમાં માજી જિલ્લા સૈનિક સંગઠનના પ્રમુખ સુરૂભા સરવૈયા, સંગઠનના અન્ય આગેવાનો તેમજ આવતીકાલના કાર્યક્રમના મુખ્ય વક્તા રવિકુમાર (આર.એસ.એસ. પ્રચારક સામાજિક કાર્યકર) ઉપસ્થિત રહ્યા હતાં.
પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાએ હાઇફા લડત અંગે રસપ્રદ વિગતો આપતા જણાવ્યું હતું કે, ઇ.સ.૧૯૧૮ના ૨૩ સપ્ટેમ્બરે પેલેસ્ટાઇનના હાઇફા બંદરે પ્રથમ વિશ્વયુદ્ધ અંતર્ગત આ લડાઇ થયેલી. બ્રિટિશ સૈન્ય તરફથી ભાવનગર જાેધપુર અને મૈસુર રાજ્યના સૈનિકો જંગ લડ્યા હતા અને દુશ્મન સૈન્યમાં ઓટોમન એમ્પાયર અને જર્મન સૈનિકો હતા. વિશાળ લડાઇના અંતે ભારતીય સૈનિકોએ ભવ્ય વિજય મેળવી હાઇફા બંદર પર કબ્જાે મેળવ્યો હતો.
આ લડાઇમાં દુશ્મન સૈન્ય પાસે તોપ, બંદૂક અને મશીનગન જેવા શસ્ત્રો હતા જ્યારે ભારતીય સૈનિકો પાસે તો તલવાર ભાલા અને તીરકામઠા હતા એ સમયે ભીષણ જંગ ખેલાયો હતો. ભારતની પહેલી પેઢીના કિંગ કમિશન્ડ ઓફિસર ભાવનગર રાજ્યના કેપ્ટન જાેરાવરસિંહ ગોહિલે આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જંગ બાદ દુનિયાના નકશા પર ઇઝરાયેલ નામના નવા દેશના જન્મની પ્રક્રિયા શરૂ થઇ હતી અને આ કારણે ઇઝરાયેલ દર વર્ષે હાઇફા ડેની ઉજવણીના દિવસે ભારતીય સૈનિકોના બલિદાન અને શૌર્યને આદરપૂર્વક યાદ કરી અંજલી આપે છે. ઘટનાની યાદગીરીમાં ૧૮ સપ્ટેમ્બરે ભાવનગરમાં માજી સૈનિક એસોસિએશન દ્વારા હાઇફા ડેની ઉજવણીનો કાર્યક્રણ યોજવામાં આવ્યો છે. જેમાં અધ્યક્ષસ્થાને ભાવનગર સ્ટેટના યુવરાજ જયવિરરાજસિંહજી ગોહિલ રહેશે. જ્યારે કમાન્ડિંગ ઓફીસર ત્યાગી તથા ૧૧ બટાલીયન, મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી, ભારતીય સેનાના જવાનો વિશેષ નિમંત્રીત મહેમાન છે. આ કાર્યક્રમ જાહેર જનતા માટે આયોજિત હોવાનું તેમણે ઉમેર્યું હતું.