ભાવનગરના મોતીબાગ ટેક્સી પાર્કિંગ અને જશોનાથ ચોક પાસે ટેક્સી ભાડે ચલાવતા ટેક્સી ચાલકોને વિશ્વાસમાં લઈ એક શખ્સે ઇકો કાર રીપેર કરાવી આપવાના બહાને ૧૫ જેટલી કારના ઓરીજનલ સાઈલેન્સર કાઢી લઈ તેની જગ્યાએ ડુપ્લીકેટ સાઇલેન્સર ફીટ કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ નિલમબાગ પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ અંગે મળતી વિગતો મુજબ નાના ખોખરા ગામમાં રહેતા ટેક્સી ચાલક હરદેવસિંહ બચુભા ગોહિલે નિલમબાગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેઓ અને તેમના મિત્ર જયદીપસિંહ જીતેન્દ્રસિંહ રાઠોડ મોટીબાગ પાસેના ટેક્સી પાર્કિંગમાં તેમની મારુતિ ઇકો કાર પાસે બેઠા હતા અને કાર રીપેરીંગ માટેની ચર્ચા કરતા હતા ત્યારે અલ્પેશ ધનજીભાઈ મકવાણા નામનો શખ્સ જે અવારનવાર આ સ્થળે આવતો હોય તેમણે હરદેવસિંહને મુસાભાઈના ગેરેજમાં કાર રીપેરીંગ કરાવી દઈશ એવું કહેતા હરદેવસિંહ તેની સાથે તેની ઇકો કાર લઇ મુસાભાઇના ગેરેજે કાર રીપેરીંગ કરાવી હતી.
કાર રીપેરીંગ કરાવ્યાના પંદર દિવસ બાદ ટેક્સી સ્ટેન્ડમાં ચર્ચા થતી હતી કે, અલ્પેશભાઈ ઇકો કાર રીપેરીંગ કરવા લઈ ગયા બાદ કારના ઓરીજનલ સાઇલેન્સર કાઢી લઇ તેની જગ્યાએ ડુપ્લીકેટ સાઇલેન્ટ ફીટ કરી દે છે. આથી હરદેવસિંહે પોતાની ઇકો કારના સાઇલેન્સર ચેક કરતા તે નકલી હોવાનું જણાયુ હતું. ટેક્સી સ્ટેન્ડમાં તપાસ કરતા ૧૫ જેટલી ઇકો કારના સાઇલેન્સર ડુપ્લીકેટ નીકળ્યા હતા.આ અંગે નીલમબાગ પોલીસે અલ્પેશ ધનજીભાઈ મકવાણા વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.