‘અમારા ટ્રેનિંગ કેમ્પનો આ છેલ્લો જ દિવસ હતો અને છેલ્લે દિવસે જ આ દુર્ઘટના બની.’ આ શબ્દો છે ઉત્તરાખંડ હિમસ્ખલનની ઘટનાના સાક્ષી કલ્પેશ બારૈયાના. નેહરુ પર્વતારોહણ સંસ્થામાંથી એડવાન્સ કોર્સમાં સામેલ કલ્પેશ બારૈયાએ આ હિમસ્ખલનની ભયાનક ઘટના વિશે જાણકારી આપી હતી તેઓ કહે છે કે, ‘અમે ચાર વાગ્યાની આસપાસ દ્રૌપદી કા દંડા પિક સમિટને સર કરવા માટે નીકળ્યા હતા. આખા કેમ્પમાં અમે કુલ 40 જણાં આ સમિટ સર કરવા જઈ રહ્યા હતા. લગભગ 300 મીટર જેવું અંતર બાકી હશે. ત્યારે મને પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. ત્યારે મેં અમારા સરને વાત કરી અને તેમણે મને પાછો જવાની મંજૂરી આપી. એટલે હું બચી ગયો. નહીંતર હું પણ તેમાં હોત.’
કલ્પેશ કહે છે કે, ‘હું અડધેથી નીકળ્યો ત્યારે 7 વાગ્યાની આસપાસ કેમ્પમાં પાછો પહોંચ્યો હતો. ત્યાં પહોંચીને મેં અડધો કલાક જેટલો આરામ કર્યો હતો. એટલામાં જ ઉપરથી સમાચાર આવ્યા કે, એવેલાન્ચ (હિમસ્ખલન)ની ઘટના બની છે. તેમાં ગયેલા 39 લોકો ફસાઈ ગયા છે. અમે ગુજરાતમાંથી ટોટલ ચાર જણાં ગયા હતા. તેમાંથી મારા સહિત ત્રણ જણાં માઉન્ટેયરિંગ કરવા ગયા હતા. મને પેટમાં દુખતા હું પાછો ફર્યો ત્યારે અન્ય બે ગુજરાતીઓ ગયા હતા. તેમાંથી એક બચી ગયો છે અને એક યુવાનનું મોત નીપજ્યું છે.’
અમારા 28 દિવસના કેમ્પનો આ છેલ્લો દિવસ હતો. ટ્રેનિંગ લગભગ પૂરી થઈ ગઈ હતી તેમ જ કહેવાય. અંતિમ અમારે દ્રૌપદી કા દંડા શિખર સર કરવા માટે જવાનું હતું. અમારા ફિલ્ડ વર્કનો આ અંતિમ પડાવ હતો. આ સર થાય એટલે કેમ્પ પૂરો થાત પણ અંતિમ દિવસે જ આ ઘટના બની. સાત દિવસ અગાઉ ગયા મંગળવારે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ખૂબ જ હૃદયદ્રાવક ઘટના બની હતી. તેમાં નેહરુ પર્વતારોહણ સંસ્થામાં ભણવા ગયેલા પર્વતારોહકો અને તેમના ઇન્સ્ટ્રક્ટર ઉત્તરકાશીમાં આવેલા દ્રૌપદી કા દંડા -2 નામના શિખરનું આરોહણ કરવા ગયા હતા. ત્યારે હિમપ્રપાત થયો હતો, જેમાં 29 લોકો ગુમ થયા હતા.