ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાને કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો છે. તે હવે બાંગ્લાદેશ સામેની વન-ડે શ્રેણીમાં રમી શકશે નહીં. બાંગ્લાદેશમાં રવિવારે ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ રમાવાની છે. ઈજાને કારણે શમી ફિટ નથી. ગયા મહિને ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપમાંથી પરત ફર્યા બાદ પ્રેક્ટિસ સેશન દરમિયાન શમી ઈજાગ્રસ્ત થયો હતો.
વન-ડે બાદ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી પણ રમવાની છે. શમી પણ ટેસ્ટ ટીમનો ભાગ હતો. આ ઈજા બાદ તે ટેસ્ટ રમી શકશે કે કેમ એ હાલ સ્પષ્ટ નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તેને આખી સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.મોહમ્મદ શમીની ઈજાને કારણે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારતનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાને કારણે પહેલાંથી જ શ્રેણીમાંથી બહાર છે. ઈજાને કારણે તે T20 વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ નહોતો. આ સાથે જ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ ઈજાના કારણે વન-ડે શ્રેણીમાંથી બહાર છે.શમી બહાર હોવાને કારણે ઉમરાન મલિકને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. ઉમરાને હાલ જ ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન વન-ડે ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ત્રણ વન-ડેમાં ઉમરાને ત્રણ વિકેટ લીધી હતી.