ગુજરાત વિધાનસભામાં પ્રથમ તબક્કામાં જે રીતે મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો તે રાજકીય પક્ષો માટે ખરેખર ચિંતા છે અને જો બીજા તબક્કામાં પણ આવું કંગાળ મતદાન રહે તો કદાચ પરિણામમાં મોટી ઉથલપાથલ થઇ શકે છે. પરંતુ ઓછુ મતદાન એ ફક્ત ગુજરાતનો પ્રશ્ન નથી. હાલમાં જ યોજાયેલી ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના શહેરી વિસ્તારોમાં પણ મતદાનની ટકાવારી નીચી રહી છે અને હવે આજે વધુને વધુ મતદાન થાય તે માટે ભાજપે તેની તમામ તાકાત કામે લગાડી છે.
ખાસ કરીને શહેરી વિસ્તારની બેઠકો બીજા તબક્કામાં સૌથી વધુ છે. અમદાવાદ, વડોદરાની બેઠકો માટે ભાજપ સૌથી વધુ આશાવાદી છે. ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માતાની મુલાકાત લીધા બાદ સીધા કમલમ ખાતે પહોંચ્યા હતા અને અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને પક્ષના ખજાનચી સુરેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સાથે ખાસ કરીને અમદાવાદમાં મતદાનની ટકાવારી વધે તે જોવા માટેના પ્રયાસોની ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મતદાન કરીને વધુને વધુ લોકોને મતદાન માટે પ્રેરિત કરશે. અમદાવાદની આ બેઠકો ભાજપ માટે સૌથી મહત્વની છે અને તેથી આજનું મતદાન એ ગુજરાતની આગામી સમયના રાજકીય ચિત્રને પણ સ્પષ્ટ કરશે.
પ્રથમ તબક્કામાં ચૂંટણી નોંધ લીધી કે સુરત, જામનગર, રાજકોટમાં મતદાનની ટકાવારી ઘટી છે. હિમાચલ પ્રદેશમાં પણ આ જ સ્થિતિ છે. સીમલા કે જે હિમાચલ પ્રદેશના શહેરી ક્ષેત્રમાં આવે છે ત્યાં ગત તા. 12ના રોજ યોજાયેલી ચૂંટણીમાં 62.53% મતદાન થયું જે અગાઉની ચૂંટણીની સરખામણીમાં 13% ઓછુ હતું અને 2007 બાદનું સૌથી ઓછુ મતદાન નોંધાયું હતું. ગુજરાતની જ વાત કરીએ તો કચ્છની ગાંધીધામ બેઠકમાં કે જે ઔદ્યોગિક વિસ્તારગણાય છે ત્યાં હાલમાં જ તા. 1ના રોજ 47.8% મતદાન થયું તે 2017 કરતાં 6.34% ઓછુ હતું. સુરતની કામરેજ બેઠક પર 5.37 ટકા ઓછુ મતદાન થયું. આમ ગ્રામ્ય અને શહેરી મતદાન વચ્ચેનો ભેદ સ્પષ્ટ થઇ જાય છે. જો ગુજરાતમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં 82.71% થયું જ્યારે ગાંધીધામમાં 47.86% થયું તે 34 પોઇન્ટનો તફાવત દર્શાવે છે.