ભારતના ઉતરીય રાજ્યોમાં છેવટે શિયાળો જમાવટ કરવા લાગ્યો હોય તેમ કાતિલ ઠંડીનો દોર શરુ થઇ ગયો છે. સાથોસાથ ગાઢ ધૂમ્મસનો સિલસીલો રહેતા પરિવહનથી માંડીને અનેકવિધ સેવાઓને અસર થઇ છે. હવામાન વિભાગ દ્વારા રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉતરપ્રદેશમાં રાત્રિના બસ સેવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ધૂમ્મસને કારણે સંખ્યાબંધ ટ્રેન તથા વિમાની શેડ્યુલ ખોરવાયા હતા. ઉતર ભારતમાં ભીષણ ઠંડીનો દોર શરુ થવાની સાથે જ હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉતરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિત અનેક રાજ્યોમાં સતત બીજા દિવસે ગાઢ ધૂમ્મસનો દોર રહ્યો હતો. વિઝીબીટીલીટી ઓછી રહેવાના કારણે સર્જાયેલા અકસ્માતોમાં પંજાબમાં પાંચ અને ઉતરપ્રદેશમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. ઉતરપ્રદેશના પરિવહન મંત્રી દયાશંકર સિંહે જણાવ્યું હતું કે ગાઢ ધૂમ્મસથી સર્જાતા અકસ્માતોને રોકવા માટે સરકારી બસ સેવા રાત્રે બંધ કરી દેવામાં આવી છે. પંજાબમાં સરકારે સવારની સ્કૂલોનો ટાઇમ 10 વાગ્યાનો કરી નાખ્યો છે. પંજાબમાં ધૂમ્મસને કારણે 16 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
ભટીન્ડા અને લુધિયાણામાં માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા હતા. હરિયાણામાં નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચોટાલાના કાફલાની બે મોટર ટકરાઈ પડી હતી. ઉતરપ્રદેશમાં પ્રવાસી બસ ક્ધટેનર સાથે ટકરાતા એકનું મોતથયું હતું જ્યારે 39 લોકો ઘાયલ થયા હતા. બુલંદ શહેરમાં પણ અનેક વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા જેમાં એકનું મોત થયું હતું અને 6 લોકો ઘાયલ થયા હતા. સરકારે એવી જાહેરાત કરી છે કે ધૂમ્મસમાં વીઝીબીલીટી ન હોય તો દિવસે પણ સરકારી બસ હાઈવેના ઢાબા, પેટ્રોલ પંપ, ટોલ પ્લાઝા કે પોલીસ સ્ટેશનમાં રોકી દેવામાં આવે અને ધૂમ્મસ દૂર થયા બાદ જ પરિવહન શરુ કરવામાં આવે. ગાઢ ધૂમ્મસને કારણે દિલ્હી, અમૃતસર, ગંગાનગર, પટિયાલા, લખનૌ, ચંદીગઢ, આગરા, ગોરખપુર, અંબાલા સહિતના શહેરોમાં વીઝીબીલીટી શૂન્યથી માંડીને માત્ર 300 મીટરની રહી હતી.
ચંદીગઢ, વારાણસી તથા લખનૌમાં ખરાબ હવામાનને કારણે ત્રણ ફલાઈટ રદ કરવામાં આવી હતી અને અમુક ડાયવર્ટ કરવામાં આવી હતી. આ સિવાય ટ્રેન વ્યવહારને પણ ઘણી મોટી અસર થઇ છે. દિલ્હીની 70થી વધુ ટ્રેનો 2 થી 6 કલાક મોડી પડી છે. મુરાદાબાદમાં 32, પંજાબમાં 15 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. ચંદીગઢ અને અમૃતસર તથા દિલ્હીમાં પણ ડઝનબંધ વિમાનો 15 મીનીટથી માંડીને 4 કલાક સુધી મોડા પડ્યા છે. દરમિયાન ઉતર ભારતીય રાજ્યોમાં તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પાટનગર દિલ્હીમાં તાપમાન 6.3 ડિગ્રી નોંધાયું હતું. જે નોર્મલ કરતા 2 ડિગ્રી નીચુ રહ્યું હતું.