ચીનમાં વધતા કોરોનાના કહેરના કારણે ભારત પણ સતર્ક થઇ ગયું છે. જેના કારણે ગુજરાતમાં પણ ચિંતા વધી રહી છે. જોકે, ગુજરાતમાં હાલ ચિંતાની વાત નથી પરંતુ સાવચેતી જરૂરી છે. ગુજરાતમાં પણ કોરોનાને કારણે રાજ્ય સરકારે બેઠક બોલાવી હતી પરંતુ નિયંત્રણ માટે કોઇ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી નથી. ગુજરાતમાં ચાઇનીઝ વેરિઅન્ટનાં ત્રણ કેસ નોંધાયા હતા જે એકથી ત્રણ મહિના જૂના છે. આઇસોલેશન બાદ ત્રણે દર્દીઓ સ્વસ્થ છે.
આરોગ્ય વિભાગે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં જુલાઇ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF7 વેરિયન્ટના કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદના 60 વર્ષીય પુરુષ દર્દીને કોવિડ પોઝિટિવ આવતા તેનું સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર ખાતેની જી.એસ.આર.બી. સરકારી ટેસ્ટીંગ લેબમાં મોકલવામાં આવ્યું હતુ. જેનો રિપોર્ટ 20 સપ્ટેમ્બરના રોજ પોઝીટીવ આવ્યો હતો. આ પુરૂષ દર્દીને કફ અને તાવની ફરિયાદ હતી. આ દર્દી હોમઆઇસોલેશનમાં જ સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થયું હતુ.
અમદાવાદના 57 વર્ષનાં પુરુષ દર્દીને 11મી નવેમ્બરના રોજ કોવિડ પોઝિટિવ આવતા તેનું પણ સેમ્પલ જીનોમ સિકવન્સીંગ ટેસ્ટીંગ માટે લેબમાં મોકલવામાં આવ્યું હતુ. જેનો 20મી ડિસેમ્બરના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં જ સંપૂર્ણપણે સ્વસ્થ થયું હતુ. અમદાવાદ ઉપરાંત વડોદરાના 61 વર્ષનાં મહિલાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીનું તેનું જીનોમ સિકવન્સીંગ સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યું હતુ. જેનો રિપોર્ટ 19 નવેમ્બરના રોજ પોઝિટિવ જણાઇ આવ્યો હતો. આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં સારવાર મેળવીને સ્વસ્થ થયું હતુ.