લગભગ એક અઠવાડિયાથી પડી રહેલી ભીષણ ઠંડી હવે જીવલેણ સાબિત થઈ રહી છે. કાનપુર શહેરમાં હાર્ટ એટેક અને બ્રેઈન એટેકથી ગુરૂવારે ૨૫ લોકોના મોત નીપજ્યા છે. હૃદય રોગના ૧૫ દર્દી હોસ્પિટલ પહોંચ્યા પહેલા જીવ ગુમાવી ચૂક્યા હતા જ્યારે સારવાર દરમિયાન ૭ ના મોત નીપજ્યા. બ્રેઈન એટેકથી મૃત્યુ પામનાર ૩ દર્દી હોસ્પિટલ પણ પહોંચી શક્યા નહીં.
કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર ગુરુવારે ઈમરજન્સી અને ઓપીડીમાં ૭૨૩ હૃદયના દર્દી આવ્યા.
કાર્ડિયોલોજીના ડાયરેક્ટરનું કહેવુ છે કે કોલ્ડ વેવમાં દર્દીઓ ઠંડીથી બચે. ઠંડીના કારણે બ્લડ પ્રેશર વધવાથી નસોમાં ખૂન જામી જાય છે જેના કારણે બ્રેઈન અને હાર્ટ એટેક આવી રહ્યા છે. તેમણે લોકોને ઠંડીમાં બચવા અને સમયસર હોસ્પિટલ પહોંચવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યુ કે હોસ્પિટલમાં તમામ સુવિધાઓ હાજર છે.
કાનપુરમાં સતત ભીષણ ઠંડી પડી રહી છે અને તાપમાન રાત્રે ૨ ડિગ્રી સુધી પહોંચી રહ્યુ છે.