વ્યાજખોરોનો આતંક એટલો બધો હોય છે કે લોકોએ આપઘાત કરવો પડે છે અથવા તો પરિવારથી દૂર નાસી જવું પડે છે. ડેઇલી ક્લેક્શનનો ધંધો કરતા લોકો માથાના દુખાવા સમાન બની ગયા છે. નાનો ધંધો કરતા લોકો પાસેથી 15 ટકાથી 20 ટકા સુધીનું ઊંચું વ્યાજ લઈ વ્યાજખોરો તેમનું લોહી ચૂસી રહ્યા છે. પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે, પરંતુ ડેઇલી કલેક્શનના નામે વ્યાજનો કાળો કારોબાર કરતા લોકો પર હજુ સુધી તવાઈ આવી નથી.
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં તેલના ડબા તેમજ સોનાના બિસ્કિટના નામે વ્યાજખોરો વ્યાજખોરીનો ધંધો બેરોકટોક ચલાવી રહ્યા છે. તેલના ડબાની આડમાં ધમધમતું વ્યાજનું આ ‘વિષચક્ર’ તોડવા માટે અમદાવાદ પોલીસે માસ્ટર પ્લાન બનાવી લીધો હોવાનું જાણવા મળે છે, જે અંતર્ગત વ્યાજખોરો પર સઘન વોચ રાખવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી કોટ વિસ્તારમાં તેલના ડબાના નામે વ્યાજનો ધંધો ચાલી રહ્યો છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિને વ્યાજ પર ૩૦ હજાર રૂપિયા જોઈતા હોય તો તે વ્યાજખોરોનો સંપર્ક કરે છે. વ્યાજખોરને નજીકની કરિયાણાની દુકાન ધરાવતા દુકાનદાર સાથે સેટિંગ હોય છે, જેથી વ્યાજ પર રૂપિયા લેનાર વ્યક્તિને તે દુકાન પર મોકલે છે. વ્યક્તિ દુકાન પર પહોંચે તે પહેલાં વ્યાજખોર કરિયાણાના દુકાનદારને ફોન કરી વ્યક્તિને ૩૦ ડબા આપી દેવાની વાત કરતા હોય છે. વ્યક્તિ દુકાન પર પહોંચીને ૩૦ તેલના ડબા માગે એટલે દુકાનદાર તેને 21 હજાર રૂપિયા આપે છે. વ્યક્તિ 21 હજાર રૂપિયા લીધા બાદ તે દિવસથી 40 દિવસ સુધી વ્યાજખોરને 600 રૂપિયા આપે છે એટલે કે જે વ્યક્તિએ 21 હજાર રૂપિયા લીધા છે તેના તે ૩૦ હજાર રૂપિયા વ્યાજખોરને ચૂકવે છે. વ્યાજખોર એક ડબ્બાદીઠ કરિયાણાની વ્યક્તિને 30 રૂપિયા આપે છે. એટલે કરિયાણાના દુકાનદારને કેટલાક રૂપિયા આપી રાખ્યા હોય છે. તેમાંથી તે દુકાનદારને કેટલાક રૂપિયા આપી રાખ્યા હોય છે, તેમાંથી તે દુકાનદાર રૂપિયા આપે છે. પાંચ હજારથી લઈ લાખો રૂપિયા સુધીનો વ્યવહાર તેલના ડબાના નામે થઈ રહ્યો છે.
આ સિવાય સોનાના બિસ્કિટ ઉપર પણ લોકો વ્યાજનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે, જે વ્યક્તિને રૂપિયા જોઇએ તે વ્યાજખોરીનો ધંધો કરતી વ્યક્તિને સોનાનું બિસ્કિટ ખરીદવાનું કહે છે. ઉદાહરણ તરીકે એક તોલા સોનાના બિસ્ટિનો ભાવ 32 હજાર રૂપિયા હોય તે પ્રમાણે વ્યાજખોર રૂપિયા આપે છે. વ્યક્તિને વ્યાજખોર 32 હજાર રૂપિયા નથી આપતો, પરંતુ તેને 24 હજાર રૂપિયા આપે છે અને દરરોજના 500ને હપ્તો નક્કી કરે છે, જેણે 24 હજાર રૂપિયા લીધા છે તે વ્યાજખોરને 64 દિવસ સુધી 500 રૂપિયા આપે છે. વ્યાજખોર તેની પાસે એક તોલા, બે તોલાનાં સોનાનાં બિસ્કિટ રાખે છે એટલે જ્યારે વ્યક્તિને રૂપિયા આપે તે પહેલાં સોનાનું બિસ્કિટ આપીને પાછું લઇ લેતા હોય છે.