ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે ભારતીય કફ સિરપ પીવાથી 19 બાળકોના મોત થયા બાદ WHO હરકતમાં આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેના ઉપયોગ સામે ચેતવણી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનઉઝબેકિસ્તાનના ઘણા વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છે અને આ સમગ્ર મામલે WHO માહિતી મેળવી રહ્યું છે. WHOએ કહ્યું છે કે. નોઈડા સ્થિત કંપની મેરિયન બાયોટેક દ્વારા બનાવેલ બે કફ સિરપનો ઉપયોગ ન કરવો જોઈએ.
તાજેતરમાં જ ઉઝબેકિસ્તાનની સરકારે બાળકોના મૃત્યુ માટે નોઈડા સ્થિત મેરિયન બાયોટેકના કફ સિરપ ‘ડોક-1 મેક્સ’ને જવાબદાર ઠેરવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધી મેરિયન બાયોટેકે આ ઉત્પાદનોની સલામતી અને ગુણવત્તા અંગે WHOને ગેરંટી આપી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને બુધવારે એટલે કે 11 જાન્યુઆરીએ ભલામણ કરી હતી કે, ઉઝબેકિસ્તાનમાં બાળકો માટે બે ભારતીય કફ સિરપ – એમ્બ્રોનોલ સીરપ અને ડોક-1 મેક્સ સીરપનો ઉપયોગ ન કરવો જોઈએ. WHOએ કહ્યું કે, મેરિયન બાયોટેક દ્વારા ઉત્પાદિત કફ સિરપ એવા ઉત્પાદનો છે જે ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતા નથી. પ્રયોગશાળાના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, બંને ઉત્પાદનોમાં અસ્વીકાર્ય માત્રામાં ડાયેથિલિન ગ્લાયકોલ અથવા ઇથિલિન ગ્લાયકોલ દૂષકો તરીકે છે.
ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે વિશ્લેષણ કરતા દાવો કર્યો હતો કે, ભારતીય કફ સિરપમાં એક ઝેરી પદાર્થ એથિલિન ગ્લાયકોલ હોય છે. એવું કહેવાય છે કે, બાળકોને ધોરણ કરતાં વધુ માત્રામાં ડોઝ આપવામાં આવે તે અત્યંત જોખમી છે. ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, તેમના દેશના બાળકોએ નોઈડા સ્થિત મેરિયન બાયોટેકની કફ સિરપ ‘ડોક-1 મેક્સ’નું સેવન કર્યું હતું. જે બાદ તે બાળકો મૃત્યુ પામ્યા હતા.
આ કફ સિરપસીરપ હાલમાં ભારતીય બજારમાં વેચવામાં આવી રહ્યું નથી
ઉઝબેકિસ્તાનમાં 19 બાળકોના મૃત્યુને સિરપ સાથે જોડતા નોઇડા સ્થિત દવા ઉત્પાદકના દાવા અંગે ભારત સરકાર તપાસ કરી રહી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ખાસ સીરપ હાલમાં ભારતીય બજારમાં વેચવામાં આવી રહ્યું નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, યુપી ડ્રગ કંટ્રોલર અને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ) એ તપાસ શરૂ કરી દીધી છે. સીરપના સેમ્પલ ચંદીગઢ મોકલવામાં આવ્યા હતા.