ભાવનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરીનું દુષણ ડામવા માટે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા એસ.પી.કચેરી ખાતે જાહેર લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યા બાદ લોકોએ કરેલી રજુઆત બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને વ્યાજખોરી કરતા ઈસમો વિરુદ્ધ પગલાં ભરી તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.દરમિયાન શહેર અને જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસ અંગે ૧૦ જેટલી પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં વ્યાજખોરીનું દુષણ અને વ્યાજખોરોના ત્રાસને ડામી દેવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હોય, આ ઝુંબેશના ભાગરૂપે ગઈકાલે ભાવનગર ખાતે રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર, એસ.પી. ડો. રવીન્દ્ર પટેલ, ડી.વાય.એસ.પી. આર.આર. સિંઘલની ઉપસ્થિતિમાં જાહેર લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં લોકોને વ્યાજખોરીના ચક્કરમાંથી બહાર નીકળી બેંક અને ફાઇનાન્સ કંપનીઓ મારફત અપાતી કાયદેસરની લોન લેવા માટે સમજણ આપવામાં આવી હતી, તેમજ વ્યાજખોરોનો ત્રાસ હોય તેવા લોકોએ ભયમુક્ત બનીને પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે તેવી ખાતરી આપવામાં આવતા આઠ જેટલા વ્યક્તિઓએ તેઓ કઈ રીતે વ્યાજખોરના ચક્કરમાં ફસાયા તેની આપવીતી વર્ણવી હતી.
એસ.પી. અને આઇ.જી.પી.એ લોકોની રજૂઆત સાંભળી કાર્યક્રમ સ્થળે જ હાજર પોલીસ અધિકારીઓને તેમની અરજી અને ફરિયાદ લઈને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા જાહેર લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યા બાદ વ્યાજખોરોની ચુંટાલમાં ફસાયેલા લોકોની હિંમતમાં વધારો થયો હતો અને પહેલા દિવસે જ લોકો ફરિયાદ કરવા આગળ આવતા શહેર અને જિલ્લાના પોલીસ મથકોમાં વ્યાજખોરો વિરુદ્ધ ૧૦ જેટલી ફરિયાદ અને ગુના દાખલ કરવામાં આવ્યા હતા.
વ્યાજખોરો સામેની ઝુંબેશ શરૂ રાખી જિલ્લાના તમામ પોલીસ મથક વિસ્તારમાં લોકસંવાદ કાર્યક્રમો યોજી લોકોને ફરિયાદ કરવા આગળ આવવા જણાવવામાં આવશે તેમ રેન્જ આઈ.જી.એ જણાવ્યું હતું.
પોલીસ તંત્ર એક્શન મોડમાં, ચાર શખ્સની ધરપકડ
ભાવનગર ખાતે વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશના ભાગરૂપે લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓએ આપેલી સૂચનાના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફર્લો સ્ક્વોડ હરકતમાં આવી હતી, અને ઘોઘા પોલીસ મથક, ગંગાજળિયા પોલીસ મથક, નીલમબાગ પોલીસ મથક, અને ઘોઘા રોડ પોલીસ મથકમાં નોંધાયેલ વ્યાજખોરોના ત્રાસ અંગે નોંધાયેલ પાંચ ગુનાના ચાર આરોપીઓ જેતુભાઈ દડુભાઇ દેસાઈ રહે. ખડસલીયા, આલિંગભાઈ ભગુભાઈ હરકટ રહે. ભુંભલી, સતવેન્દ્રસિંઘ ઉર્ફે સોનુ જશવંતસિંહ રાઠોડ રહે. વિઠ્ઠલવાડી ભાવનગર અને રણજીત ભાવસંગભાઈ પરમાર રહે. વરતેજ વાળાને તાત્કાલિક અસરથી ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી ભાગ કરવામાં આવી હતી.