નાણા પ્રધાને ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને બજેટમાં મોટી ભેટ આપી છે. બજેટની રજૂઆત બાદ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ જાહેરાત કરી હતી કે વંદે ભારત ટ્રેનની સફળતા બાદ હવે ભારતીય રેલવે 2024-25 સુધીમાં વંદે મેટ્રો ટ્રેન શરૂ કરશે.
રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, વંદે મેટ્રો શહેરોમાં 50-60 કિમીનું અંતર કાપવાનો કોન્સેપ્ટ લઈને આવી રહી છે. આ વર્ષે પ્રોડક્શન અને ડિઝાઇનનું કામ કરવામાં આવશે. આવતા વર્ષથી તેને શરૂ કરવાની યોજના છે. વંદે મેટ્રો 125 થી 130 પ્રતિ કિલોમીટરની ઝડપે દોડશે. તેની ડિઝાઇન મુંબઈ સબ-અર્બનની તર્જ પર કરવામાં આવશે. જો કે વંદે મેટ્રોમાં શૌચાલયની સુવિધા નહીં હોય.
વંદે મેટ્રો ટ્રેન 1950 અને 1960ના દાયકામાં ડિઝાઇન કરાયેલી ઘણી ટ્રેનોનું સ્થાન લેશે. તેની ડિઝાઈન બાબતે હજુ સુધી કોઈ જાણ નથી કરાઈ. પરંતુ એવું માનવામાં આવે છે કે તેમાં સુવિધાઓ વંદે ભારત ટ્રેન જેવી જ હશે. એન્જિન સંપૂર્ણપણે હાઇડ્રોજન આધારિત હશે. જેના કારણે પ્રદૂષણ શૂન્ય થશે. વંદે ભારત ટ્રેનની જેમ આ ટ્રેનમાં પણ આધુનિક બ્રેક સિસ્ટમ, રેડ સિગ્નલ બ્રેકિંગથી બચવા માટે કવચ સેફ્ટી સિસ્ટમ, ઓટોમેટિક ડોર, ફાયર સેન્સર, GPS, LED સ્ક્રીન હશે, જે મુસાફરોને આગલા સ્ટેશન વિશે અગાઉથી જાણ કરશે. આ ટ્રેનનું ભાડું ઘણું ઓછું હશે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ મુસાફરી કરી શકશે.
ટ્રેનની ટિકિટમાં વેઇટિંગનો અંત ક્યારે આવશે ?
રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 10 વર્ષ પહેલા દરરોજ 4 કિલોમીટરના નવા ટ્રેક બનાવવામાં આવતા હતા. આજે દરરોજ 12 કિલોમીટરના નવા પાટા નાખવામાં આવી રહ્યા છે. આવતા વર્ષે તેને 16 કિમી સુધી લઈ જવાશે. ઘણા દાયકાઓની ખામીઓને 8 વર્ષમાં પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતને પહોંચી વળવાથી જ માંગ અને પુરવઠાનો તફાવત ઘટશે. આ પછી જ ટિકિટમાં વેઇટિંગ અંગે કઈ કહી શકાય.