આજે મહાશિવરાત્રીના મહાપર્વને લઈને વહેલી સવારથી જ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. દેવાધિદેવ મહાદેવના સોમનાથ મંદિરના સાનિધ્યમાં આજે અલૌકિક વાતાવરણ છે. મહત્વનું છે કે, આજે સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લું રહેશે. આ સાથે રાત્રે ચાર પ્રહરની મહાપૂજા અને મહાઆરતીનું પણ આયોજન છે.
મહાશિવરાત્રીના પર્વને લઈ આજે જય સોમનાથના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરના ધ્વજારોહણ કરાયું છે. આજે સવારથી પાર્થેશ્વર પૂજા,બિલ્વપૂજા સહિતની પૂજામાં લાખો ભાવિકો જોડાયા છે. મહાશિવરાત્રી પર સોમનાથ દાદાના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. જેને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા અગાઉ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આજે એટલે કે મહાશિવરાત્રી પર સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લું રહેશે.
આજે વહેલી સવારે 4.00 કલાકે મંદિરના કપાટ ખુલી ગયા હતા. આ કપાટ હવે સતત 42 કલાક ખુલ્લા રહેશે તથા 4 પ્રહરની આરતી અને મહાપૂજા નીયત સમયે થશે. મહાશિવરાત્રીએ શિવભક્તો મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લઈ શકશે. મહાશિવરાત્રીને લઈને સોમનાથ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટે 17થી 19 ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
સોમનાથ મંદિરમાં પાલખી યાત્રા, જ્યોતપૂજન, ચાર પ્રહરનું વિશેષ પૂજન, આરતી સહિત ધાર્મિક, આદ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ મહાશિવરાત્રીને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રિકોને કોઈપણ પ્રકારે અવગડ ન પડે તેની કાળજી લેવાઈ રહી છે. 2 હજાર જેટલા વાહનો પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ તૈયાર છે.