નિક્કી યાદવ હત્યાકાંડમાં મુખ્ય આરોપી સાહિલ ગેહલોત ઉપરાંત તેના પિતા સહિત 5 અન્ય લોકોની પણ ધરપકડ કરાઈ છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ જાણકારી આપી કહ્યું કે, સાહિલના પિતા વીરેન્દ્ર સિંહની પણ ત્યારે ધરપકડ કરી લેવામાં જ્યારે પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ જાણતા હતા કે તેમના પુત્રએ નિક્કીની કથિત રીતે હત્યા કરી નાખી હતી. તેમના પર આઈપીસીની કલમ 120બી હેઠળ કેસ દાખલ કરાયો છે. આ ઉપરાંત આરોપી સાહિલના મિત્ર, પિતરાઈ ભાઈ સહિત 4 અન્ય લોકોની પણ ધરપકડ કરાઈ છે.
આ મામલે દિલ્હી પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે આરોપી સાહિલ અને નિક્કીએ ઓક્ટોબર 2020માં નોઈડાના એક આર્ય સમાજ મંદિરમાં ગૂપચૂપ લગ્ન કરી લીધા હતા. સાહિલનો પરિવાર આ લગ્નથી નાખુશ હતો. આથી તેઓ નિક્કીને રસ્તેથી હટાવવા માંગતા હતા. ત્યારબાદ સાહિલના પરિવારે ડિસેમ્બર 2022માં તેનું બીજે નક્કી કરી નાખ્યું અને છોકરીવાળાથી એ વાત છૂપાવી કે સાહિલ પહેલેથી પરણિત છે. પોલીસને રિમાન્ડ દરમિયાન સાહિલ અને નિક્કીના લગ્ન સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે નિક્કીની લાશને ફ્રિજમાં છૂપાવવામાં તેના મિત્ર અને પિતરાઈ ભાઈએ સાથ આપ્યો હતો.
આ મામલે અત્યાર સુધીમાં હવે કુલ 6 લોકોની ધરપકડ થઈ છે. આ ઉપરાંત પોલીસને કાશ્મીરી ગેટથી એક મહત્વપૂર્ણ સીસીટીવી પણ મળી આવ્યું છે. જેમાં નિક્કી અને સાહિલ ગાડીમાં જતા જોઈ શકાય છે. ફૂટેજ 10 ફેબ્રુઆરી સવારે 10 વાગ્યાનું છે એટલે કે ત્યારે નિક્કી જીવિત હતી. જ્યારે સાહિલ પોલીસને નિવેદન આપી રહ્યો હતો કે તેણે સવારે 4 વાગે જ નિક્કીની હત્યા કરી નાખી હતી. શુક્રવારે પોલીસ સાહિલને લઈને નિક્કીના ઘરે પહોંચી અને ક્રાઈમ સીનનું રિક્રિએશન પણ કરાવ્યું.