Agriculture Economy: આબોહવા પરિવર્તનના પડકારો વચ્ચે નવી ટેકનોલોજી અને રિસર્ચ સુધી ખેડૂતોની પહોંચ સુનિશ્ચિત કરવાની જરૂર છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) ની 94મી વાર્ષિક સામાન્ય સભામાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ વાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કૃષિ એ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે, આ ક્ષેત્રનો વધુ વિકાસ થવો જોઈએ.
ICAR ના વૈજ્ઞાનિકોના યોગદાનની પ્રશંસા કરી
તોમરે જણાવ્યું કે, આજે આપણી સામે જળવાયુ પરિવર્તન જેવા પડકારો છે. કુદરતી આફતોના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાના પડકારનો પણ આપણે સામનો કરી રહ્યા છીએ. નવા ભારતમાં આપણે નવી ટેક્નોલોજી અને સંશોધનને તમામ ખેડૂતો સુધી લઈ જવાનું છે. એક સત્તાવાર નિવેદન મુજબ, તેમણે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આઈસીએઆર (ICAR) વૈજ્ઞાનિકોના યોગદાનની પ્રશંસા કરી હતી. સાથે જ એમ પણ જણાવ્યું કે 2047 સુધીમાં નવા ભારત બનાવવા માટે વધુ સંશોધન પ્રયાસોની જરૂર છે.
અત્યાર સુધી 49સીઓઈને મંજૂરી આપવામાં આવી
બીજી તરફ કૃષિ મંત્રાલય દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ડ્રેગન ફ્રૂટ, કેરી, શાકભાજી અને ફૂલો માટે બેંગલુરુ, જયપુર અને ગોવામાં ત્રણ સેન્ટર ઓફ એક્સેલન્સ (COI) ની સ્થાપના કરવામાં આવશે. એક નિવેદન મુજબ, મંત્રાલયે અત્યાર સુધીમાં 49 સીઓઈને મંજૂરી આપી છે, જેમાંથી ત્રણને 9 માર્ચ, 2023ના રોજ મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર (MIDH) હેઠળ મંજૂર કરવામાં આવ્યા હતા.
કર્ણાટકના બેંગલુરુમાં હિરેહલ્લી પરીક્ષણ કેન્દ્ર ખાતે ભારતીય બાગાયત સંશોધન સંસ્થા (IIHR) દ્વારા કમલમ (ડ્રેગન ફ્રૂટ) માટે એક CoE ની સ્થાપના કરવામાં આવશે. ભારત-ઇઝરાયેલ એક્શન પ્લાન હેઠળ ઓડિશાના જાજપુર જિલ્લામાં કેરી અને શાકભાજી માટે બીજો CoE સ્થાપિત કરવામાં આવશે. શાકભાજી અને ફૂલો માટે ત્રીજો CoE ભારત-ઈઝરાયેલ એક્શન પ્લાન હેઠળ દક્ષિણ ગોવાના પોંડામાં સરકારી કૃષિ ફાર્મમાં સ્થાપિત કરવામાં આવશે.