Narendra Singh Tomar: કેન્દ્ર સરકાર સતત કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ જ કારણ છે કે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે યુવાનોને કૃષિ તરફ આકર્ષિત કરવાની વાત કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું કે, ખેતીને નફાકારક બનાવવા અને નાના અને સીમાંત ખેડૂતોની આવક વધારવાની જરૂર છે. આપને જણાવી દઈએ કે, મોદી સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જેને જોતા સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
પીએમ કિસાનના 13 હપ્તાની ચૂકવણી થઈ
સરકાર દ્વારા ખેડૂતો માટે શરૂ કરાયેલી યોજનાઓમાં સૌથી મહત્ત્વકાંક્ષી યોજના પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના છે. જેમાં સરકાર દ્વારા ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રૂપિયા DBT દ્વારા ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તાજેતરમાં 27 ફેબ્રુઆરીએ સરકારે ખેડૂતોના ખાતામાં 13મો હપ્તો ચૂકવી દીધો છે.
મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંનો ઉલ્લેખ કર્યો
ઇન્ડસ્ટ્રી બોડી કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ના કોન્ક્લેવને સંબોધતા કૃષિ મંત્રીએ જણાવ્યું કે, ભારતીય કૃષિને નફાકારક બનાવવા, ખેડૂતોની આવક વધારવા અને કૃષિ અર્થતંત્રને મજબૂત કરવા માટે નવી ટેકનોલોજી, સંશોધન અને વિકાસ (R&D) અને ઉદ્યોગ સહયોગની જરૂર છે. તેમણે પીએમ-કિસાન યોજના, 10,000 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) ની સ્થાપના અને એક લાખ કરોડ કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ બહાર પાડવા જેવા કૃષિ ક્ષેત્રના વિકાસ માટે છેલ્લા 9 વર્ષમાં મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કર્યો હતો.
તોમરે જણાવ્યું કે, કૃષિ આપણા બધા માટે પ્રાથમિકતા ક્ષેત્ર છે. તેમણે જણાવ્યું કે, આ ક્ષેત્રને નફાકારક બનાવવા, ખેડૂતોની સમૃદ્ધિ વધારવા અને કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ટેકનોલોજી, સંશોધન અને ઉદ્યોગ સહયોગની જરૂર છે.