છત્તીસગઢમાં શિક્ષિત બેરોજગારોને પ્રતિ માસ 2500 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ રાજ્યના મુખ્યમંત્રી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વિટ કરી જાણકારી આપી હતી. ભૂપેશ બઘેલે ટ્વિટમાં લખ્યું કે, 1 એપ્રિલથી છત્તીસગઢના શિક્ષિત યુવાનોને 2500 રૂપિયા પ્રતિ માસ બેરોજગારી ભથ્થું આપવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
છત્તીસગઢમાં હાલ કોંગ્રેસની સરકારમાં ભૂપેશ બઘેલ મુખ્યમંત્રી છે. આ તરફ રાજ્યના શિક્ષિત બેરોજગારો માટે તેમણે એક મોટું એલાન કર્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, નોંધણીની સરળતા માટે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે, એપ્રિલ મહિનામાં કોઈપણ દિવસે કરવામાં આવેલી અરજીઓ પર જાહેરાત મુજબ ભથ્થું 1 એપ્રિલથી જ ચૂકવવાપાત્ર થશે. આશા છે કે, આ ભથ્થું આપણા યુવાનોની આત્મનિર્ભરતાની દિશામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે





