દેશમાં રોજના 35 વિદ્યાર્થી એટલે કે, દર કલાકે 1-2 આપઘાતની ઘટના ઘટતી હોવાની વિગતો એક શૈક્ષણિક સંસ્થાના રિપોર્ટના આધારે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી છે.
આ રિપોર્ટના આધારે જાહેર કરાયેલા તારણો મુજબ વિદ્યાર્થીઓની આપઘાતની ઘટનામાં ગુજરાત દેશાં બીજા ક્રમે આવે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 3,002 વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે. દેશની શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યામાં પાંચ વર્ષમાં 32 ટકાનો વધારો અતિ ચિંતાજનક અને ગંભિર છે.આત્મહત્યાની ઘટના અટકાવવા અંગે સરકાર પગલા ભરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દેશની પ્રિમિયર ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સા ચિંતાજનક રીતે વધ્યા છે. દેશની પ્રીમિયર ઇન્સ્ટિટયૂટ IIT / IIM / NITs / AIIMS સેન્ટ્રલ યુનિવર્સીટીમાં વર્ષ 2018થી એપ્રિલ 2023 સુધીમાં 103 વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ગુમાવ્યું છે. IITમાં 35, સેન્ટ્રલ યુનિવર્સિટીમાં 29, NITsમાં 24, એઈમ્સમાં 11 અને IIMમાં 4 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે.




