ગુજરાતમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો 41થી 42 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. આવામાં અમદાવાદમાં 23 અને 24 એપ્રિલે યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે વાહનચાલકોને હાલાકી ન થાય તે માટે ટ્રાફિક પોલીસ અને AMCએ નિર્ણય લીધો છે.
આજથી બપોરના સમયે સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજથી અમદાવાદના 58 સિગ્નલ પર સમય 25 સેકન્ડથી ઘટાડીને 20 સેકન્ડ કરી દેવાયો છે. જેથી લોકોને વધુ સમય સિગ્નલ પર ઉભા રહીને તપવુ નહિ પડે. ગરમીમાં અમદાવાદના વાહનચાલકોને રાહત આપતો નિર્ણય એએમસી અને ટ્રાફિક વિભાગ દ્વારા લેવાયો છે. અમદાવાદમાં આજથી કેટલાક ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે, તો મહત્વના ટ્રાફિક સિગ્નલ પર સમય મર્યાદા ઘટાડવામા આવી છે. આજથી અમદાવાદના 127 ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. આજથી બપોરે 12થી 4 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. તો સાંજે 4 વાગ્યા પછી ટ્રાફિક સિગ્નલ રાબેતા મુજબ ચાલુ કરાશે. એએમસી દ્વારા પણ શહેરના બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાયો છે.