ખાલિસ્તાન સમર્થકોએ પશ્ચિમ સિડનીના રોઝહિલના સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરી છે. શુક્રવારે સવારે મંદિરના મેનેજમેન્ટને તોડફોડની જાણ કરવામાં આવી હતી. સવારે જ્યારે પૂજારી મંદિર પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે મંદિરની સામેની દીવાલને તોડી નાખવામાં આવી હતી અને ગેટ પર ખાલિસ્તાની ધ્વજ લટકાવવામાં આવ્યો હતો.
આ ઘટના ઓસ્ટ્રેલિયામાં લગભગ બે મહિનાની ખાલિસ્તાન ગતિવિધિઓના શાંત થયા બાદ બની છે. શુક્રવારે સવારે મંદિર પહોંચેલા સેજલ પટેલ (હેરિસ પાર્ક નિવાસી)એ જણાવ્યું કે, ‘આજે સવારે જ્યારે હું દર્શન કરવા માટે આવી ત્યારે મેં સામેની દિવાલ તૂટેલી જોઈ.’ તેમણે કહ્યું કે, તોડફોડની ઘટના જોયા બાદ મેં મંદિર મેનેજમેન્ટને જાણ કરી. ત્યારબાદ NSW પોલીસને જાણ કરી.
મંદિરના મેનેજમેન્ટે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, સમાચાર મળ્યા બાદ NSW પોલીસના અધિકારીઓ મંદિર પહોંચ્યા અને તપાસમાં લાગી ગયા. આ મામલે તપાસ કરવા મંદિર મેનેજમેન્ટ દ્વારા પોલીસને સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં મેલબોર્નમાં ત્રણ મંદિરો અને બ્રિસબેનમાં બે મંદિરોને ખાલિસ્તાન સમર્થકોએ નિશાન બનાવ્યા હતા. અત્રે ઉલ્લેખીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 મેના રોજ QUAD સમિટ માટે સિડની જવાના છે. જ્યારે અલ્બેનીઝ ભારતની મુલાકાતે હતા ત્યારે પીએમ મોદીએ હિન્દુ મંદિર પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે ભારતના વડાપ્રધાન મોદીને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા મંદિરો વિરુદ્ધ કોઈપણ કાર્યવાહીને સહન કરશે નહીં.




