ભારતમાં કેટલાંક વખતથી હવામાન અનિશ્ર્ચિત બની રહેવા સાથે માવઠા-કમોસમી વરસાદ વરસી રહ્યા છે. ચોમાસાને પ્રભાવીત કરતી સિસ્ટમ અલ-નીનોનું પણ જોખમ છે. તેવા સમયે ખાનગી વેધર એજન્સી સ્કાયમેટ દ્વારા વધુ એક ચિંતા સર્જતી આગાહી કરવામાં આવી છે તેમાં ચોમાસું મોડૂ થવાનું કહેવામાં આવ્યું છે.
સ્કાયમેટનાં સહ સ્થાપક જતીનસિંઘે કહ્યું હતું કે ઉતર ભારતમાં 18 મે પછી તંડર સ્ટોર્મ (આંધી) શરૂ થશે. ચોમાસાનો પ્રારંભ મોડો થવાની શકયતા છે અને જુન માસમાં પણ કાળઝાળ ગરમીની શકયતા છે. 15 દિવસની આગાહી કરતાં ટવીટમાં તેઓએ કહ્યું કે ચોમાસાની જેમ ખરીફ વાવેતર પણ મોડુ શરૂ થવાની શકયા છે. ભારતીય કૃષિ તથા અર્થતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ એવુ નૈઋત્ય ચોમાસું સામાન્ય રીતે 1લી જુને પ્રવેશ કરતુ હોય છે. સ્કાયમેન્ટ દ્વારા આ વખતનુ ચોમાસું નોર્મલ કરતા નબળુ રહેવાની આગાહી અગાઉથી જ કરવામાં આવી હતી.
સ્કાયમેટની આગાહી મુજબ ચોમાસાનો વરસાદ સરેરાશના 94 ટકા રહેવાની શકયતા છે. ચોમાસાને પ્રભાવીત કરતી અલનીનો સીસ્ટમની અસરથી વરસાદ ઓછો થવાનું કહ્યું હતું. ભારતીય હવામાન વિભાગે જોકે ચોમાસું નોર્મલ રહેવાનું પ્રાથમીક અનુમાન દર્શાવ્યું હતું. અલનીનોની સામે પોઝીટીવ પરીબળો ઉભા થવાની આગાહી કરી છે. અને સરેરાશ 96 ટકા વરસાદ થવાનું કહ્યું હતું જે નોર્મલની વ્યાખ્યામાં આવે છે.





