ભારતને વિશ્વના શક્તિશાળી દેશોના G-7 ગ્રુપમાં એન્ટ્રી મળી શકે છે. 19-21 મે દરમિયાન જાપાનમાં યોજાનારી બેઠક દરમિયાન જૂથના વિસ્તરણ પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે. ગ્રુપમાં ભારત, ચીન અને બ્રાઝિલને સામેલ કરવા અને તેને G-10 અથવા D-10 નામ આપવા માટે G-7 દેશોમાં વાતચીત ચાલી રહી છે.
આ ગ્રુપની શરૂઆત વર્ષ 1975માં થઈ હતી
G-7માં હાલમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ સામેલ છે. આ ગ્રુપની શરૂઆત વર્ષ 1975માં થઈ હતી. પછી તે G-6 થયું હતું. કેનેડા પાછળથી જોડાયું હતું. અગાઉ રશિયા પણ તેમાં હતું, પરંતુ 2014માં ક્રિમિયા પર હુમલાને કારણે તેને હટાવી દેવામાં આવ્યું હતું. વર્તમાન G-7 જૂથ વિશ્વની અર્થવ્યવસ્થાના 45 ટકાને આવરી લે છે પરંતુ વસ્તીના માત્ર 10 ટકા છે. આથી તેના વિસ્તરણની જરૂરિયાત અનુભવાઈ છે.
મોટી અર્થવ્યવસ્થાઓને સામેલ કરીને G-10 અથવા D-10 (લોકશાહી-10) નામ આપવાનો પ્રસ્તાવ
આમાં ભારત, ચીન અને બ્રાઝિલ જેવી મોટી અર્થવ્યવસ્થાઓને સામેલ કરીને G-10 અથવા D-10 (લોકશાહી-10) નામ આપવાનો પ્રસ્તાવ છે. જો કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. G-7નું મુખ્ય ધ્યાન વિશ્વની સામેના પડકારો, ખાસ કરીને શાંતિની સ્થાપના, સુરક્ષાની સ્થાપના, આતંકવાદ સામે લડવા, શિક્ષણ-સ્વાસ્થ્ય અને પર્યાવરણીય મુદ્દાઓ પરના ઉકેલો શોધવા પર છે, જ્યારે G-20 વિશ્વને લગતા મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.
જાપાનમાં આયોજિત G-7 પરિષદના આઉટરીચ સત્રમાં ભારતને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પહેલા પણ તેને નવ વખત આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાં 2003માં ફ્રાન્સ, 2005માં યુકે, 2006માં રશિયા, 2007માં જર્મની, 2008માં જાપાન, 2009માં ઇટાલી, 2019માં ફ્રાન્સ, 2021માં યુકે અને 2022માં જર્મનીનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકોમાં ભારતના તત્કાલિન વડાપ્રધાનોએ હાજરી આપી હતી. ભારત ઉપરાંત, જાપાને જે આઠ સહયોગી દેશોને આમંત્રણ આપ્યું છે તેમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કોમોરોસ, કૂક આઇલેન્ડ્સ, ઇન્ડોનેશિયા, કોરિયા અને વિયેતનામનો સમાવેશ થાય છે. આ સિવાય સાત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ છે.
પીએમ મોદી ત્રણ સત્રમાં ભાગ લેશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ આઉટરીચ સત્રોમાં ભાગ લેશે, એક ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, વિકાસ અને લિંગ મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા પર, એક ટકાઉ વિકાસ, આબોહવા, ઉર્જા પર્યાવરણ પર અને ત્રીજો શાંતિપૂર્ણ, સમૃદ્ધ વિશ્વના નિર્માણ પર. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન અલગ-અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં ભારતીય પ્રતિનિધિમંડળ પણ ભાગ લેશે.





