લોકસભા ચૂંટણીને લઈ અત્યારથી જ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. આ દરમિયાન હવે BJPના કેન્દ્રીય નેતૃત્વએ 11 જૂને નવી દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકનો એજન્ડા આગામી વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી પર સંભવિત છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને બીએલ સંતોષ સહિત રાજ્ય સંગઠન સચિવો બેઠકમાં હાજર રહેશે તેવી શક્યતા છે.
ભાજપના એક સૂત્રએ એએનઆઈને જણાવ્યું હતું કે, ભાજપના વડા જેપી નડ્ડાએ ટિફિન મીટમાં પાર્ટીના નવા અને જૂના કાર્યકરોને એક મહત્વપૂર્ણ મંત્ર આપ્યો અને પાર્ટીના કાર્યકરોને કહ્યું કે, તેઓએ જમીન પર વળગી રહેવું પડશે અને લોકોના દિલ જીતવા માટે અલગ અલગ વસ્તુઓ કરવી પડશે.ખેડૂતોનો મુદ્દો, દીકરી બચાવો કે અન્ય સામાજિક મુદ્દા જેવા કોઈપણ સળગતા મુદ્દામાં સૌથી મહત્વની બાબત એ છે કે, જો કોઈ કે વિપક્ષ હુમલો કરવાનો કે પ્રશ્ન કરવાનો પ્રયાસ કરે છે, તો દરેકને આ અંગે જાગૃત કરવામાં આવે. વ્યક્તિએ તેમને નમ્રતાથી હેન્ડલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેમને ખાતરી આપવી જોઈએ કે, ભાજપ હંમેશા સમાજની સાથે છે અને પક્ષ સમાજના કલ્યાણ માટે કામ કરે છે.
જેપી નડ્ડાએ 2 કલાક સુધી ચાલેલી બેઠકમાં કહ્યું, અમે માત્ર ભારતની સૌથી મોટી પાર્ટી નથી, દુનિયાની સૌથી મોટી પાર્ટી પણ છીએ. આપણે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી કરતા મોટા છીએ, તેથી આપણે એકજૂટ રહીને ગૌરવ સાથે આપણું સ્થાન જાળવી રાખવું પડશે અને હંમેશા લોકોના કલ્યાણ માટે કામ કરવું પડશે. દરરોજ આપણે નવા લોકો સાથે જોડાવાનો પ્રયત્ન કરવો જોઈએ.






