નવી દિલ્હી:
નેશનલ કન્ઝયુમર ડિસ્પ્યુટસ રિડ્રેસલ કમીશન એ ખોટી વ્યક્તિનું વીર્ય આપવાના કેસમાં દિલ્હીની ખાનગી હોસ્પિટલ અને તેના ડોકટર્સને રૂા.1.5 કરોડનો દંડ ફટકાર્યો છે. એક દંપતિની આસીસ્ટેડ રિપ્રોડકટીવ ટેકનીકની પ્રક્રિયા વખતે ખોટી વ્યક્તિના વીર્યનો ઉપયોગ થયો હોવાની જાણ થતા સમગ્ર કાર્યવાહી હાથ ધરાઈ હતી. છેલ્લા કેટલાક વર્ષમાં આવા કિલનિકસ મોટા પાયે ફુટી નીકળ્યા છે. જયાં અનૈતિક કામકાજ મોટા પાયે કરવામાં આવે છે. એનસીડીઆરસીના જણાવ્યા અનુસાર નવજાત શિશુની ડીએનએ પ્રોફાઈલ જાહેર કરવાનું ફરજીયાત બનાવવા ઉપરાંત, આવા કિલનિકસના એક્રેડીટેશનની જરૂર છે. કમિશને એક દંપતિની ફરિયાદ અંગેની સુનાવણીમાં આવી ટીપ્પણી કરી હતી.
ઘટનાની વિગત અનુસાર જૂન 2009માં એઆરટી પ્રક્રિયા દ્વારા દંપતિને જોડીયા બાળકો થયા હતા. જો કે, બાળકોનું બ્લડ ગ્રુપ માતાપિતા સાથે મેચ નહીં થતું હોવાને કારણે તેમની ડીએનએ પ્રોફાઈલનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં જણાયું હતું કે, પતિ જોડીયા બાળકોનો પિતા નથી.
દંપતિએ બેદરકારી અને સેવામાં ઉણપ બદલ રૂા.2 કરોડના વળતરનો દાવો કર્યો હતો. દંપતિના જણાવ્યા અનુસાર હોસ્પિટલ અને ડોકટર્સની બેદરકારીના કારણે તેમના માટે ભાવનાત્મક તાણ સહિત ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ હતી. ઉપરાંત, બાળકોમાં વારસાગત રોગ હોવાનો ડર પણ સતાવા માંડયો હતો. એનસીડીઆરસીના પ્રિસાઈડીંગ સભ્ય એસ.એમ.કાનિટકરે આદેશમાં જણાવ્યું હતું કે, ‘મારા મતે આ પ્રોફેશનલ સિદ્ધાંતો સાથે સમાધાનનો કેસ છે. જેમાં હોસ્પિટલ, તેના ડિરેકટર અને ચેરમેન તેમજ ત્રણ ડોકટર્સ બેદરકારી અને ગેરવાજબી બિઝનેસ સિદ્ધાંતો માટે જવાબદાર છે. હું તેમની સામે રૂા.1.5 કરોડની જવાબદારી નિર્ધારિત કરું છું.’
તેમણે કહ્યું હતું કે, ‘ડીએનએ પ્રોફાઈલ પરથી સ્પષ્ટ થયું છે કે, પતિ બાળકોનો બાયોલોજીકલ પિતા નથી. હવે બાળકોના આનુવંશિક ગુણોમાં ફેરફાર નહીં થઈ શકે અને આ મુદે તેમને ભવિષ્યમાં પણ આ માનસિક વેદનાનો સામનો કરતા રહેવું પડશે. આરોપીઓ માત્ર તેમની જવાબદારી એકબીજા પર ઢોળી રહ્યા છે. ગુણવતાસભર સેવા આપવી હોસ્પીટલની ફરજ છે, પણ તેમણે એઆરટીની લલચામણી જાહેરાતો અને અનૈતિક પદ્ધતિઓથી સંતાનવિહોણા દંપતિને છેતરવા જોઈએ નહીં.’




