હિમાચલ પ્રદેશમાં મનાલી-કુલ્લુથી મોટરસાયકલ દ્વારા ટ્રેકિંગ માટે નીકળેલા ૧૪ જેટલા ગુજરાતી યુવાનો સહિ સલામત છે. ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું છે કે, ગુજરાતના આ યુવાઓ હિમાચલ પ્રદેશના કુલ્લુ – મનાલીના પ્રવાસ દરમિયાન મોટરસાયકલ દ્વારા આગળ જવા ટ્રેકિંગ માટે નીકળેલા હતા. તેમનો સંપર્ક પાછલા બે-ત્રણ દિવસથી કુલ્લુ મનાલીમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિને કારણે થઈ શક્તો ન હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ વિષય આવતા તેમણે રાજ્યના રાહત કમિશનર તંત્રને સાબદુ કરીને આ યુવાઓની ભાળ મેળવવા દિશા નિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીની સૂચનાઓને પગલે રાહત કમિશનર આલોક પાંડે એ હિમાચલ પ્રદેશના રાહત સચિવ શર્મા સાથે ટેલિફોનિક સંપર્ક કરીને આ ૧૪ યુવાનોની સંપૂર્ણ વિગતો આપી તેમને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો.