ટામેટાંની વધતી કિંમતોએ સામાન્ય માણસના ખિસ્સા પર મોટો ફટકો માર્યો છે, ત્યારે મહારાષ્ટ્રના પુણેના એક ખેડૂત માટે આ નફાકારક સોદો સાબિત થયો છે. તમામ પડકારોને પાર કરીને પૂણેના આ ખેડૂતે છેલ્લા એક મહિનામાં ટામેટાંનો પાક વેચીને 3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પુણે જિલ્લાના જુન્નર તહસીલના પચઘર ગામના ખેડૂત ઈશ્વર ગાયકર (36)ને ઓછા ભાવને કારણે આ વર્ષે મે મહિનામાં ટમેટાના પાકનો મોટો જથ્થો ફેંકી દેવો પડ્યો હતો. આટલા ઝટકા છતાં, આ ખેડૂતે અતૂટ નિશ્ચય બતાવ્યો અને તેના 12 એકરના ખેતરમાં ટામેટાંની ખેતી કરી. હવે ટામેટાંના આસમાની કિંમતો વચ્ચે, ગાયકરને મહેનતનું જોરદાર ફળ મળ્યું છે અને તે કરોડપતિ બની ગયો છે. ગાયકરે દાવો કર્યો છે કે તેણે 11 જૂનથી 18 જુલાઈ વચ્ચે ટામેટાંની પેદાશ વેચીને 3 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ગાયકરે કહ્યું કે આ સમયગાળા દરમિયાન તેણે જુન્નર તાલુકામાં નારાયણગાંવ ખાતે કૃષિ પેદાશ બજાર સમિતિ (APMC) ખાતે 18,000 ક્રેટ ટામેટાં (દરેક ક્રેટ જેમાં 20 કિલો ટામેટાં હોય છે) ત્રણ કરોડ રૂપિયામાં વેચ્યા છે. તે બાકીના 4,000 ક્રેટ ટામેટાં વેચીને વધુ 50 લાખ રૂપિયા કમાવવાનો ઇરાદો ધરાવે છે. ગાયકરે જણાવ્યું કે તેણે ટામેટાની ખેતી અને ટ્રાન્સપોર્ટેશન પાછળ કુલ 40 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેણે કહ્યું કે મારી પાસે 18 એકર જમીન છે. તેમાંથી મેં 12 એકરમાં ટામેટાની ખેતી કરી હતી. 11 જૂનથી મેં ટામેટાંના 18,000 ક્રેટ વેચીને 3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ખેડૂતે 11 જૂને 770 રૂપિયા પ્રતિ ક્રેટ (37 થી 38 રૂપિયા પ્રતિ કિલો)ના ભાવે ટામેટાંનું વેચાણ કર્યું હતું. 18 જુલાઈના રોજ, તેને ક્રેટ દીઠ રૂ. 2,200 (કિલો દીઠ રૂ. 110) મળ્યા. ગાયકરે યાદ કર્યું કે કેવી રીતે બે મહિના પહેલા તેણે નીચા ભાવને કારણે લણેલા ટમેટાના પાકને ફેંકી દેવો પડ્યો હતો.
ભારે નુકસાન થયું હતું
તેમણે કહ્યું કે ટામેટા ઉત્પાદકો માટે આ શ્રેષ્ઠ સમય છે, પરંતુ અમે સૌથી ખરાબ સમય પણ જોયો છે. મે મહિનામાં મેં એક એકર જમીનમાં ટામેટાં ઉગાડ્યા હતા, પરંતુ ખૂબ ઓછા ભાવને કારણે મોટી માત્રામાં ઉત્પાદન ફેંકવું પડ્યું હતું. મેં ઉત્પાદન ફેંકી દીધું હતું કારણ કે ક્રેટ દીઠ દર માત્ર રૂ. 50, એટલે કે રૂ. 2.50 પ્રતિ કિલો હતો. ગાયકરે જણાવ્યું કે 2021માં તેમને 15 લાખથી 16 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું અને ગયા વર્ષે પણ તેમને નજીવો નફો થયો હતો. અન્ય ખેડૂત રાજુ મહાલેએ પણ ચાલુ સિઝનમાં 2500 ક્રેટ ટામેટાંનું વેચાણ કરીને 20 લાખ રૂપિયાની કમાણી કરી છે. નારાયણગાંવ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીના વેપારી અક્ષય સોલાટે ગાયકરની ઉપજ ખરીદી છે. સોલાટે જણાવ્યું હતું કે હાલમાં ટામેટાંનું બજાર ધમધમી રહ્યું છે. તેણે ક્રેટ દીઠ રૂ. 2,400ના ભાવે ટામેટાં ખરીદ્યા.






