અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી તથ્ય પટેલના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવશે. નોંધનીય છે કે, ગઈકાલે સાંજે પાંચ વાગે આરોપીની ધરપકડ કરાઈ હતી. આ તરફ ધરપકડ બાદ બન્ને આરોપીનું રી કન્સ્ટ્રકશન કરાયું હતું. આ સાથે આરોપી સાથે FSL તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી.
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત મામલે આરોપી તથ્ય પટેલનાં વકીલ નિસાર વૈધે મીડીયા સમક્ષ કહ્યું હતું કે, બધા મીડીયા વાળા અને ભારતની પ્રજા મને કહે કે તું તથ્યને કેસ છોડી દે તો હું છોડી દઈશ. કાલે બીજો કોઈ વકીલ આવશે. મારૂ જે કામ છે તે કોઈ પણ કરશે. હું ઈમાનદારીથી મારૂ કામ કરી રહ્યો છું. હું કોઈના પણ પુરાવા તોડવાનો કે કોઈને અન્યાય કરવાનું કામ નથી કરતો. હું મારા ક્લાઈન્ટને માત્ર ફેવર કરી રહ્યો છું. તેમ છતાં પણ કોઈ મીડિયા વાળાનું કે કોઈ પ્રજાજનનું દિલ દુભાયું હોય તો હું માફી માંગુ છું.






