મણિપુરમાં એક વખત હિંસાની ઘટના સામે આવી છે. બિષ્ણુપુરમાં મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા કરી દેવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે કેટલાક લોકો બફર ઝોન પાર કરીને મૈતેઇ વિસ્તારમાં ઘુસ્યા હતા અને ફાયરિંગ કર્યું હતું.
મણિપુરમાં લગભગ ત્રણ મહિનાથી ચાલતી હિંસા હજુ પણ અટકવાનું નામ લેતી નથી. આ રાજ્યમાં 35 હજારથી વધુ સૈનિકો તૈનાત કરાયા હોવા છતાં ઘણા વિસ્તારોમાં સ્થિતિ બેકાબુ બની જાય છે ત્યારે ફરી એકવાર મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં હિંસા ફાટી નીકળી છે. બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે રાતે મૈતેઈ સમુદાયના 3 લોકોની હત્યા કરી નાખવામાં આવી છે. જ્યારે ઉપદ્રવીઓએ અનેક ઘરોમાં આગચંપી કરી છે. જે બાદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે તૈનાત કરાયો છે.
બિષ્ણુપુર પોલીસના જણાવ્યા અનુસાર 3 લોકોની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત કુકી સમુદાયના લોકોના ઘરમાં આગ લગાડવામાં આવી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, કેટલાક લોકો બફર ઝોન પાર કરીને મૈતેઈ વિસ્તારમાં ઘુસ્યા હતા, આ તમામે મૈતેઈ વિસ્તારમાં ફાયરિંગ કર્યું હતું.
મણિપુરમાં 3 મેના રોજ સૌથી પહેલા જાતિય હિંસાની શરૂઆત થઈ હતી. મૈતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિ (એસટી)માં સામેલ કરવાની માંગણીના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકજૂથતા માર્ચ’ આયોજિત કરાઈ હતી. ત્યારે પહેલીવાર મણિપુરમાં જાતીય ઘર્ષણ થયું. હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના જીવ ગયા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. આપને જણાવી દઈએ કે, મણિપુરમાં મૈતેઈ સમુદાયની સંખ્યા લગભગ 53 ટકા છે અને તેઓ મોટાભાગે ઈમ્ફાલ ઘાટીમાં રહે છે. કુકી સમુદાયની વસ્તી 40 ટકાથી વધુ છે અને તેઓ પહાડી જિલ્લામાં રહે છે.