વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે રહેશે. આ દરમિયાન તે કેટલીક વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરવા અને સ્ટેચ્યુ ઓફ યૂનિટીમાં રાષ્ટ્રીય એકતા દિવસ સમારંભમાં ભાગ લેવાનો કાર્યક્રમ છે. 31 ઓક્ટોબર સરદાર પટેલની જયંતીએ સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે, જે બાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે.
પીએમ આજે મહેસાણા જિલ્લાના ખેરાલુના ડભોડામાં એક સાર્વજનિક સભામાં લોકોને સંબોધિત કરશે અને કેટલીક વિકાસ પરિયોજનાઓને ખુલ્લી મુકશે. આ વિકાસકાર્યો ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને આવરી લે છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ 16 પ્રકલ્પો છે જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે સવારે તેઓ અંબાજી ખાતે પૂજા-અર્ચના કરશે. તથા બે દિવસના પ્રવાસ દરમિયાન 5,950 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.
કેવડિયાથી અમદાવાદ સુધીની નવી હેરિટેજ ટ્રેનને લીલીઝંડી આપશે
31 ઓક્ટોબરે સરદાર પટેલની જયંતિ નિમિત્તે વડાપ્રધાન કેવડિયાથી અમદાવાદ સુધીની નવી હેરિટેજ ટ્રેનને લીલીઝંડી આપશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતા નગરથી અમદાવાદ વચ્ચે દર રવિવારે હેરિટેજ ટ્રેન દોડશે. આ ટ્રેનમાં 144 લોકો મુસાફરી કરી શકશે તેમજ 28 મુસાફરો બેસીને જમી શકે તેવી ડાઇનિંગ સુવિધા પણ રખાઈ છે. 4 કોચની આ ટ્રેનમાં શતાબ્દી ચેરકાર જેટલું ભાડું લેવાશે. અગાઉ અમદાવાદથી વિસ્ટાડોમ કોચ સુપરફાસ્ટ ટ્રેનમાં લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે હેરિટેજ ટ્રેન ચલાવવાથી દિવાળી વેકેશનમાં ફરવા આવનાર મુસાફરોને એક અલગ અનુભવ થશે. ચાલુ ટ્રેનમાં રેસ્ટોરન્ટની જેમ જમવાનો પણ અલગ જ અનુભવ થશે, તેમ રેલવે દ્વારા જણાવાયું છે.